મોદી પીએમ બન્યા તો દેશ માટે ઘાતકઃ મનમોહન સિંહ
નવી દિલ્હી, 3 જાન્યુઆરીઃ ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે મીડિયા સેન્ટરમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે, જો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા તો દેશ બરબાદ થઇ જશે. તેઓ દેશ માટે ઘાતક છે. આ જવાબ તેમણે ત્યારે આપ્યો જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીને ઉતારવાથી શું આ બરાબરીનો મુકાબલો થશે? પોતાના સંબોધનમાં મનમોહન સિંહે યુપીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે, યુપીએના નેતૃત્વમાં દેશે વિકાસ કર્યો છે, ગરીબીનો ગ્રાફ ઝડપથી નીચે ગયો અને અમે શિક્ષાને મહત્વ આપ્યું છે.
મનમોહન સિંહ અનુસાર અમે વિધાનસભાની ચૂંટણીના પરિમામોથી શીખ્યા છીએ. અમને એ વાતનો અફસોસ છે કે અમે લોકોને નોકરી આપી શક્યા નહીં, મોંઘવારી રોકી શક્યા નહીં. મનમોહન સિંહે દલીલ કરી કે મોંઘવારી વધી છે, પરંતુ સામે આવક પણ વધી છે, પરંતુ તેનો લાભ વધારે લોકોને મળ્યો નથી. હવે અમારે આર્થિક સ્થિતિને સારી કરવા માટે નાના ઉદ્યોગોને વધારો આપવો પડશે.
તેમણે કહ્યું કે, અમે પાડોસી દેશો સાથે સારા સંબંધો બનાવી રાખવાના પ્રયાસો કર્યા. અમારી સરકારે ભ્રષ્ટાચારને રોકવા માટે અમારી નીતિઓમાં બદલાવ કર્યો, મનમોહન સિંહે સ્પષ્ટ કરી દીધુ કે જો યુપીએ 3 સત્તામાં આવે છે, તો તેઓ વડાપ્રધાન નહીં હોય, તેમણે પોતે ઓછું બોલતા હોવાના આરોપો અંગે કહ્યું કે, પાર્ટી ફોરમમાં હું બોલતો રહુ છુ અને આગળ પણ તેવું જ કરીશ, જે પણ મારા પર આવા આરોપો લગાવે છે, તેમના માટે હું કંઇ કરી શકતો નથી. પાર્ટી દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવારની ઘોષણા અંગે તેમણે કહ્યું કે, અમે તેની જાહેરાત યોગ્ય સમયે કરીશું.