કર્ણાટકમાં અનામત મુદ્દે બી એસ યેદુરપ્પાના ઘર પર પ્રદર્શનકારીયોનો હુમલો, ધારા 144 લાગુ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજ્યમાં રાજનીતિક ઘમાસાણ પણ જોવા મળી રહ્યું છે. હવે કર્ણાટકમાં અનામત મુદ્દે મોટી બબાલ શરૂ થઈ છે. આવી રહેલા અહેવાલો અનુસાર, અનામત મુદ્દે કેટલાક લોકોએ પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો કર્યો હતો. બંજારા અને ભોવી સમુદાયના લોકો શિવમોગામાં યેદિયુરપ્પાના ઘર અને કાર્યાલય બહાર હિંસક દેખાવો કરી રહ્યા છે. આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. શિવમોગાના ઘણા વિસ્તારોમાં દેખાવકારોએ રસ્તાઓ બંધ કરી દીધા છે. વિરોધને રોકવા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
અહેવાલો અનુસાર, બંજારા સમુદાયના દેખાવકારોએ શિકારીપુરામાં બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના ઘરને નિશાન બનાવ્યું અને અનુસૂચિત જાતિ માટે જાહેર કરાયેલા આંતરિક અનામતના વિરોધમાં પથ્થરમારો કર્યો. આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ હિંસા માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી છે.
મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈએ કહ્યું કે, કોંગ્રેસના સ્થાનિક નેતા લોકોને ભડકાવી રહ્યા છે. કોંગ્રેસ દરેક સમુદાયને કરવામાં આવેલા સામાજિક ન્યાયને પચાવી શકી નથી અને તેણે હિંસા ભડકાવવાનો આશરો લીધો છે. બંજારા સમુદાયે કોઈપણ અફવાનો શિકાર ન થવું જોઈએ. અહીં બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, આ ઘટના ગેરસમજના કારણે બની છે. તેમણે કહ્યું કે તેઓ મંગળવારે શિકારીપુરાની મુલાકાત લેશે અને ત્યાં બંજારા સમુદાયના નેતાઓ સાથે વાત કરશે.
બીજી તરફ ઘટનાને પગલે પોલીસે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓને વિખેરવા લાઠીચાર્જ કર્યો છે. આ ઘટનામાં મહિલાઓ સહિત ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.












Click it and Unblock the Notifications
