Punjab bandh : ખેડૂતોએ 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન આપ્યુ, ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે
Punjab bandh : કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતો વિરોધી નીતિઓ સામે આંદોલનના રસ્તે ઉતરેલા ખેડૂતોએ 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન આપ્યુ છે.
દિલ્હીની શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોના નેતા સર્વન સિંહ પંઢેરે 30 ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન કર્યુ છે. પંજાબ બંધના એલાનને ઘણા સંઘો અને જૂથો તરફથી સમર્થન મળ્યું છે.

કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ પંજાબના નેતા સર્વન સિંહ પંઢેરે ખનૌરી બોર્ડર પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પંજાબ 30 ડિસેમ્બરે સવારે 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બંધ રહેશે. અમને ઘણા સંઘો અને જૂથો તરફથી સમર્થન મળ્યું છે. પંજાબની સરકારી અને ખાનગી ઓફિસો આ દિવસે બંધ રહેશે.
તેમણે કહ્યું કે, 30 ડિસેમ્બરે રેલ ટ્રાફિક અને રોડ ટ્રાફિક બંધ રહેશે. ખેડૂતોએ બંધ દરમિયાન સામાન્ય જાહેર સુવિધાઓ અને ઈમરજન્સી સેવાઓને પ્રાધાન્ય આપવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતાએ કહ્યું કે, બંધ દરમિયાન તબીબી સેવાઓ અને અન્ય કટોકટીની સુવિધાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.
તેમણે કહ્યું કે, એરપોર્ટ પર મુસાફરો અને લગ્ન સમારોહમાં જતા વાહનોને રોકવામાં આવશે નહીં. આ સાથે ઉમેદવારોને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે સંપૂર્ણ સહાયતા આપવામાં આવશે.
તેમણે યુવાનો અને જનતાને શાંતિપૂર્ણ રીતે બંધને સફળ બનાવવા અપીલ કરી છે અને કહ્યું કે આ બંધ ખેડૂતોના અધિકારો અને તેમના ભવિષ્યની લડાઈ છે.
તેમણે આગળ જણાવ્યુ તે, અમે સમગ્ર પંજાબને ખાસ કરીને યુવાનોને વિનંતી કરીએ છીએ કે તેઓ મંચ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોનું પાલન કરે અને આ બંધને સમર્થન આપે.
આ બંધ કેન્દ્રને ખેડૂતોની માંગણીઓ સ્વીકારવા માટે દબાણ કરશે. તેમણે કેન્દ્ર સરકાર પર ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવ્યો.












Click it and Unblock the Notifications
