કચ્છના ખેડૂતો મુદ્દે નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરશે પંજાબના મુખ્યમંત્રી
ગાંધીનગર, 6 સપ્ટેમ્બર : પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ કચ્છમાં વસતા સિખ ખેડૂતોને સંબંધિત મુદ્દાઓ અને પ્રશ્નો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવશે. બાદલ ગાંધીનગરમાં 9 સપ્ટેમ્બરે યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ અંગે ચંદીગઢ ખાતેના સૂત્રોએ જણાવ્યું કે બંને મુખ્યમંત્રીઓ આ મુદ્દે વિસ્તારથી ચર્ચા કરવા માંગે છે. બાદલની પાર્ટી શિરોમણી અકાલી દલની સરકાર પંજાબમાં ગુજરાત સરકાર સાથે ખેડૂતોના પ્રશ્નના મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં લઇ જવા ઇચ્છે છે, પણ આ પહેલા રાજકીય રીતે તેનો ઉકેલ થાય તો ઇચ્છે છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં 1973ના કાયદા અનુસાર અંદાજે 1000 ખેડૂતોના જમીન ફ્રીઝ કરી દીધી છે. બોમ્બે ટેનેન્સી એન્ડ એગ્રીકલ્ચર લેન્ડ્સ એક્ટ 1948 અંતર્ગત રાજ્યમાં પરંપરાગત રીતે ખેડૂત ના હોય તેવી વ્યક્તિ કૃષિ જમીનનું વેચાણ કરી શકતી નથી.
ગુજરાતમાં વસતા સિખ ખેડૂતો પાસે કચ્છમાં અંદાજે 20000 એકર જેટલી જમીન છે. તેઓ આ જમીનનો સોદો કરી શકતા નથી. સિખ ખેડૂતોના જણાવ્યા અનુસાર વર્ષ 1965માં તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના કહેવાથી અંદાજે 10000 જેટલા સિખ ખેડૂતો ગુજરાતના કચ્છમાં આવીને વસ્યા હતા. તેમણે સરહદની સુરક્ષા કરવા ઉપરાંત વિસ્તારના વિકાસમાં પણ ફાળો આપ્યો હતો.