પંજાબ સરકારે ગુરૂ નાનકની જયંતિએ આનંદ મેરેજ એક્ટ લાગુ કરવાની જાહેરાત કરી!
દેશમાં આજે ગુરૂ નાનકના 553માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભગવંત માન તેનની પત્ની ગુરપ્રીત કૌર સાથે આનંદપુર સાહિબ સ્થિત તખ્ત કેશગઢ સાહિબના દર્શને પહોંચ્યા હતા.
ચંદીગઢ : દેશમાં આજે ગુરૂ નાનકના 553માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભગવંત માન તેનની પત્ની ગુરપ્રીત કૌર સાથે આનંદપુર સાહિબ સ્થિત તખ્ત કેશગઢ સાહિબના દર્શને પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ આ પર્વ નિમિત્તે તમામ પંજાબીઓને ગુરૂ પર્વની શુભકામનાઓ પાઠવી અને તેમના સિદ્ધાંતો પર ચાલવાની અપીલ કરી હતી. અહીં મુખ્યમંત્રીએ અહીં એક મોટી જાહેરાત કરી હતી.
ગુરૂ નાનક જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી ભગવંત માને જાહેરાત કરી છે કે હવે પંજાબમાં સંપુર્ણ રીતે આનંદ મેરેજ એક્ટ લાગુ કરવામાં આવશે. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, આ તમિલનાડુ, અરૂણાચલ પ્રદેશ અને હરિયાણા સહિતના 22 રાજ્યોમાં લાગુ છે. પંજાબમાં પણ તેનો સંપૂર્ણ અમલ કરીને લોકોને જાગૃત કરવામાં આવશે. સીએમએ કહ્યું કે તેનું નોટિફિકેશન 2016માં બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તેનો સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી.
અહીં તમને જણાવી દઈએ કે, શીખ સમુદાય લાંબા સમયથી માંગ કરી રહ્યો છે કે તેમના લગ્ન આનંદ મેરેજ એક્ટ હેઠળ નોંધવામાં આવે. આ કાયદો 1909 માં બનાવવામાં આવ્યો હતો. આ પછી 1955માં હિંદુ, શીખ, બૌદ્ધ અને જૈનોને જોડતો હિંદુ મેરેજ એક્ટ લાગુ કરવામાં આવ્યો. શીખ સમુદાયના લોકોની માંગ હતી કે તેમના માટે આનંદ મેરેજ એક્ટ લાગુ કરવામાં આવે. તેમણે કહ્યું કે વિદેશોમાં આ અંગે મોટી સમસ્યા છે. પાસપોર્ટ પર શીખ લખેલું છે અને લગ્નનું પ્રમાણપત્ર હિન્દુ ધર્મનું હોય છે.