પંજાબ વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાએ લીધી અનાજ બજારોની મુલાકાત
પંજાબ વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાંએ રવિવારના રોજ માલવા પટ્ટાની અલગ અલગ અનાજ બજારોની અચાનક મુલાકાત લીધી હતી. જેમાં તેમને અનાજની સરકારી ખરીદીની તપાસ કરી હતી.
ચંદીગઢ : પંજાબ વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાંએ રવિવારના રોજ માલવા પટ્ટાની અલગ અલગ અનાજ બજારોની અચાનક મુલાકાત લીધી હતી. જેમાં તેમને અનાજની સરકારી ખરીદીની તપાસ કરી હતી. આ સાથે તેમણે અધિકારીઓ નિર્વિધ્ન અને સુચારૂ ખરીદી સુનિશ્ચિત કરવાની સુચના આપી હતી.
બજારની મુલાકાત દરમિયાન ખરીદ કેન્દ્રની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે. આ સાથે જ્યાં પણ ઉણપ દેખાય તો તેમાં સુધારો કરવાની સુચના પણ આપવામાં આવી છે.
કુલતાર સિંહ સંધવાંએ ખેડૂતોને 24 કલાકની અંદર ડાંગરની ખરીદી પર ચૂકવણી કરવા અંગેનો નિર્દેશ પણ આપ્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, પંજાબ સરકાર ખેડૂતોને મંડીઓમાં દરેક સુવિધા આપવા માટે પ્રતિબદ્ધ છે અને આ સંદર્ભે પહેલાથી જ સુચનાઓ આપી દેવામાં આવી છે. વર્તમાન સિઝનમાં ખેડૂતોને મંડીઓમાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે, મંડીઓમાં ડાંગરના પ્રવાહ પર દેખરેખ રાખવા માટે ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. વર્તમાન સિઝન દરમિયાન કોઈપણ ગેરકાયદેસર ખરીદીને ટાળવા માટે આંતર-રાજ્ય સરહદો પર ચેક-પોસ્ટ મૂકવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તમામ ખેડૂતોને 24 કલાકની અંદર ચૂકવણીની ખાતરી કરવા માટેનું પણ સુચન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત સ્પીકરે જણાવ્યું હતું કે, પંજાબ સરકાર ડાંગરના અનાજની ખરીદી અને પરિવહન માટે પ્રતિબદ્ધ છે. આ સાથે ડાંગરની ખરીદી, ઉપાડ, બારદાનની ઉપલબ્ધતા, વાહનવ્યવહાર, વેતન, વીજળી, પીવાનું પાણી, સ્વચ્છતા, શૌચાલયની સુવિધા અંગે બેદરકારી ન રાખવા કડકપણે સૂચનાઓ આપવામાં આવી છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા જૂથ અનાજ બજારોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તમામ સરકારી ખરીદ એજન્સીઓને સરકારની સૂચનાઓનું પાલન કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.