પંજાબમાં નફરત ફેલાવતી પોસ્ટ કરનાર સામે પોલીસ કરશે FIR
પંજાબમાં કોઈ જાતિ કે ધર્મ વિશે નફરત ફેલાવતી પોસ્ટ ઈન્ટરનેટ મીડિયા પર નાખવી હવે મોંઘી પડી શકે છે.
પંજાબમાં કોઈ જાતિ કે ધર્મ વિશે નફરત ફેલાવતી પોસ્ટ ઈન્ટરનેટ મીડિયા પર નાખવી મોંઘી પડી શકે છે. આવી પોસ્ટ કરવા પર પંજાબ પોલીસ નફરત ફેલાવનાર સામે એફઆઈઆર નોંધશે. પંજાબ પોલીસે આ પગલું અમૃતસરમાં શિવસેના નેતા સુધીર સૂરીની હત્યા બાદ ઉઠાવ્યુ છે. હત્યા બાદ સૂરીના અનેક ભડકાઉ ભાષણો ઈન્ટરનેટ મીડિયા પર સામે આવ્યા હતા. હત્યા બાદ પણ ઈન્ટરનેટ મીડિયા પર સૂરી વિરુદ્ધ ઘણી પોસ્ટ પણ આવી હતી.
'હેટ સ્પીચ''ના કારણે રાજ્યમાં વાતાવરણ ન બગડે તે ધ્યાનમાં રાખીને પોલીસે આ પગલુ ભર્યુ છે. આ અંતર્ગત પંજાબ પોલીસે પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. પંજાબ પોલીસે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી પણ લોકોને આવુ ન કરવાની અપીલ કરી છે.
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે તમામ જિલ્લાના પોલીસ કમિશનરો, એસએસપી અને એસપીને નફરત ફેલાવનારા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યુ છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ ઈન્ટરનેટ મીડિયા પર અફવાઓ ન ફેલાવે. રાજ્યનુ વાતાવરણ બગડે નહિ એટલા માટે પોલીસ આવું કરનારાઓ પર નજર રાખી રહી છે. જેને રોકવા માટે પોલીસ દ્વારા હવે કડક પગલા લેવામાં આવી રહ્યા છે.
પોલીસની આઈટી ટીમ સતત સોશિયલ મીડિયા પર નજર રાખશે. આ સાથે પોલીસને અફવા ફેલાવતી પોસ્ટ મળશે ત્યારે આઈટી ટીમ તપાસ કરીને પોસ્ટ મુકનાર વ્યક્તિ સુધી પહોંચશે. આ સાથે જે લોકોએ અફવા ફેલાવતી પોસ્ટ ફોરવર્ડ કરી હશે તેનો ડેટા પણ તૈયાર કરવામાં આવશે જેથી અફવા ફેલાવનારા તમામ લોકો સામે કડક કાર્યવાહી કરી શકાય. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા અમૃતસરમાં હિન્દુ નેતા સૂરીની હત્યા બાદ ઈન્ટરનેટ મીડિયા પર એક પછી એક પોસ્ટ શેર થઈ રહી છે. આમાંની ઘણી પોસ્ટ ઉશ્કેરણીજનક છે. પોલીસને પણ આ પોસ્ટ હટાવવા માટે કહેવામાં આવ્યુ છે.
પોલીસની ચિંતા એ છે કે હાલના દિવસોમાં ઈન્ટરનેટ મીડિયા પર હેટ સ્પીચનુ પૂર છે. અજાણ્યા લોકો પણ હેટ સ્પીચ આપીને હેડલાઇન્સ બનાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. તેમની ફરિયાદો પણ સતત પોલીસ સુધી પહોંચી રહી હતી પરંતુ સુધીર સૂરીની હત્યા બાદ પોલીસે નફરત ફેલાવનારાઓ સામે કેસ નોંધવાનુ નક્કી કર્યુ છે કારણ કે પોલીસને ચિંતા છે કે હેટ સ્પીચના કારણે રાજ્યની સંવાદિતા ખોરવાઈ ન જાય.