મેડિકલ સ્ટડીનું હબ બનશે પંજાબ - મુખ્યમંત્રી માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજ્યના દુનિયાભરમાં મેડિકલ સ્ટડીનું હબ બનાવવા જઇ રહ્યા છે. આ માટે માન સરકારે દ્રઢ સંકલ્પ કર્યો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજ્યના દુનિયાભરમાં મેડિકલ સ્ટડીનું હબ બનાવવા જઇ રહ્યા છે. આ માટે માન સરકારે દ્રઢ સંકલ્પ કર્યો છે. કપૂરથલામાં બનનારી મેડિકલ કોલેજની જગ્યાનું નિરિક્ષણ કરવા માટે આવેલા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ મેડિકલ કોલેજના નામ પહેલા શ્રી ગુરૂ નાનક દેવજીના નામ પર રાખવમાં આવશે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજની સાઈટ અને ડિઝાઈનને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને આ પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ પર ટૂંક સમયમાં કામ શરૂ થશે. મેડિકલ કોલેજ 20 એકર વિસ્તારમાં બનાવવામાં આવશે અને આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 428.69 કરોડ રૂપિયા થશે.
કોલેજની સાથે 10-12 માળની અતિ આધુનિક હોસ્ટેલ પણ બનાવવામાં આવશે
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જણાવ્યું હતું કે, આ કોલેજમાં અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે, તેથી 300 બેડની અતિ આધુનિક સિવિલ હોસ્પિટલ ઉપરાંત કોલેજની સાથે 10-12 માળની અતિ આધુનિક હોસ્ટેલ પણ બનાવવામાં આવશે.
પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પંજાબમાં તબીબી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે આગામી પાંચ વર્ષમાં 16 નવી મેડિકલ કોલેજો સ્થાપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી રાજ્યમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા 25 થઈ જશે. આ સુનિશ્ચિત કરશે કે, રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવે. સંગરુરમાં મસ્તુઆના સાહિબ ખાતે સંત અતર સિંહ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનો શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવી ચુક્યો છે. કપૂરથલા અને હોશિયારપુરમાં વધુ બે મેડિકલ કોલેજો પર કામ પણ ટૂંક સમયમાં શરૂ થશે.
મેડિકલ વિદ્યાર્થીઓએ યુક્રેન જેવા દેશોમાં જવું નહીં પડે
આ સાથે મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે, તબીબી શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને હવે યુક્રેન જેવા દેશોમાં જવું પડશે નહીં કારણ કે આ મેડિકલ કોલેજોમાં તેમને પ્રમાણભૂત તબીબી શિક્ષણ આપવામાં આવશે. આરોગ્ય, શિક્ષણ, વીજળી અને સ્વચ્છ પાણી તેમની સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. લોકોના સહકારથી રાજ્ય સરકારે અનેક લોકલક્ષી પહેલ કરી છે.
આમ આદમી ક્લિનિક્સને મળી રહ્યું છે સંપૂર્ણ સમર્થન
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ખોલવામાં આવેલા આમ આદમી ક્લિનિક્સને લોકો તરફથી અભૂતપૂર્વ સ્વીકૃતિ મળી રહી છે. આ ક્લિનિક્સ લોકોને પ્રમાણભૂત આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યા છે અને આગામી દિવસોમાં આવા વધુ ક્લિનિક્સ ખોલવામાં આવશે. તે ખૂબ જ ગર્વ અને સંતોષની વાત છે કે, ભારત સરકારે પણ લોકોને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આ ક્લિનિક્સની ભૂમિકાની પ્રશંસા કરી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સત્તા સંભાળ્યા બાદથી લાયક યુવાનોને લગભગ 21,000 સરકારી નોકરીઓ આપી છે. ઘણી વધુ ભરતીઓ પ્રક્રિયા હેઠળ છે અને તમામ સરકારી વિભાગોમાં સ્ટાફની અછત ટૂંક સમયમાં દૂર કરવામાં આવશે.