રાહુલનું ટ્વીટ, 'PM જે કહે છે એનો કોઇ અર્થ નથી હોતો'
રાહુલ ગાંધીએ ફરી સાધ્યું પીએમ મોદી પર નિશાન પીએમ મોદી અને અરુણ જેટલીના વીડિયો સાથે કર્યું ટ્વીટ આ અંગે વધુ વાંચો અહીં...
ગુજરાત ચૂંટણી દરમિયાન જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ મનમોહન સિંહ પર નિશાન સાધ્યુ હતું અને પાકિસ્તાનના પૂર્વ મંત્રી સાથે ગુપ્ત બેઠકનો આરોપ મુક્યો હતો, એ મામલે સંસદમાં ઘણો હોબાળો થયો હતો. આ વિવાદ પૂર્ણ કરવા માટે નાણાં મંત્રી અરુણ જેટલી જાતે સામે આવ્યા હતા અને તેમણે પીએમ મોદીનો બચાવ કરતાં કહ્યું હતું કે, પીએમ મોદીએ પૂર્વ પીએમ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અંગે કોઇ પણ પ્રકારની ટિપ્પણી નથી કરી. પીએમ મોદીએ પોતાના ભાષણોમાં મનમોહન સિંહ અંગે કોઇ પ્રશ્નો નથી કર્યા. આની સામે કોંગ્રેસ સાંસદ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે, આ રીતની ટિપ્પણીઓ પીએમ પદ માટે યોગ્ય નથી, ભવિષ્યમાં આ રીતની વાતો પુનરાવર્તિત ના થાય એવું અમે ઇચ્છીએ છીએ. આ પછી માનવામાં આવી રહ્યું હતું કે, બંને પક્ષો વચ્ચેના આ નિવેદનોનો દોર પૂર્ણ થઇ જશે, પરંતુ એવામાં રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પણ નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, ડિયર મિસ્ટર જેટલી, એ યાદ અપાવવા માટે ધન્યવાદ કે વડાપ્રધાન જે કહે છે એમ હોતું નથી અને જે હોય છે એ કહેતા નથી. એ પછી રાહુલે #BJPLies હેશટેગ વાપર્યું હતું. આ ટ્વીટ સાથેજ રાહુલે અરુણ જેટલીના ભાષણનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો અને પીએમ મોદીનું ભાષણ પણ ટાંક્યુ હતું, જેમાં તેમણે પૂર્વ પીએમ મનમોહન સિંહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પર વાણી પ્રહારો કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના ઘરે થયેલ બેઠક પર પ્રશ્ન કરતાં પૂર્વ પીએમ મનમોહન સિંહ પર આરોપ મુક્યો હતો કે, પાકિસ્તાન સાથે મળીને ભાજપને ગુજરાત ચૂંટણીમાં હરાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ મનમોહન સિંહે પીએમ મોદી પર આરોપ મુક્યો હતો કે, તેઓ ચૂંટણી જીતવા માટે જૂઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે. ત્યાર બાદ આ મુદ્દે કોંગ્રેસ પીએમ મોદીની માફીની માંગણી કરી સંસદના શિયાળુ સત્રમાં સતત હોબાળો કરી રહી હતી.












Click it and Unblock the Notifications
