રાહુલ ગાંધી, મમતા બેનર્જીએ નોટબંધી પર કર્યો નરેન્દ્ર મોદીને સવાલ
કોંગ્રેસ અને અન્ય વિપક્ષે કેન્દ્ર સરકાર અને મોદી પર નિશાનો સાધ્યો છે. અને નોટબંધીને લઇને સરકારને તેમના સવાલોના જવાબ આપવાની માંગ કરી છે.
નોટબંધીના મુદ્દે મોદી સરકારને તમામ બાજુઓથી ઘેરવાની કવાયત વિપક્ષે શરૂ કરી દિધી છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આજે દિલ્હી ખાતે કોન્સટીટ્યૂશન ક્લબમાં પ્રેસ કોન્ફર્ન્સ યોજી મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસે નોટબંધી મામલે વિપક્ષને એકસાથે આવવાનું કહીને બોલવવામાં આવેલી આ બેઠકનું નામ "ઓપોઝિશન મીટ" રાખ્યું છે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વિપક્ષની આ બેઠક દરમિયાન કહ્યું કે નોટબંધીથી ગરીબ અને ખેડૂતોને નુક્શાન થયું છે. ખેડૂત અને ગરીબ ખૂબ જ દુખી છે. તેમની સામે રોજી-રોટીનો સંકટ ઊભો થયો છે. રાહુલ કહ્યું કે 30 તારીખ આવવાની છે પણ સમસ્યાનો કોઇ ઉકેલ નથી આવ્યો. મોદીજી કહે છે કે 30 ડિસેમ્બરે પછી સ્થિતી નહીં સુધરે તો હું જવાબદાર ગણાઇશ.
તો શું હવે મોદીજી આ વાતનો જવાબ આપશે. રાહુલે કહ્યું કે આતંકવાદ અને ભષ્ટ્રાચારને દૂર કરવા માટે નોટબંધી લાગુ કરવાનો મોદીનો વિચાર ખોટો સાબિત થયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે નોટબંધીએ મુશ્કેલીઓ સિવાય દેશને કંઇ નથી આપ્યું. પીએમ મોદી પર કોંગ્રેસે જે પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે તે લિસ્ટમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષીતનું પણ નામ હોવાની વાત પર રાહુલ ગાંધી કહ્યું કે અમે શિલા દિક્ષીત વિરુદ્ધ જો આવો કોઇ કેસ હોય તો તપાસ કરવા તૈયાર છીએ.પણ શું પીએમ આવી તપાસ કરવા તૈયાર છે?
મમતા બેનર્જીએ કહ્યું કે આઝાદી પછી આટલો મોટો સ્કેમ કદી નથી થયો, જેટલો નોટબંધી વખતે થયો છે. તેમણે કહ્યું કે મોદી કહે છે કે અચ્છે દિન આવશે પણ હવે લોકોના ખિસ્સામાં પૈસા જ નથી રહ્યા. તો કેવા અચ્છે દિન. ગરીબ લોકોના પૈસા લૂટીને અમીરોને આપી દેવામાં આવ્યા છે. નોટબંધીથી દેશ 20 વર્ષ પાછો જતો રહ્યો છે. જ્યૂટ ઇનડસ્ટ્રી બંધ છે. ચાના બગીચામાં કામ બંધ છે. તેમણે વધુમાં કહ્યું કે 47 દિવસમાં કોઇ સુધાર નથી આવ્યો તો 3 દિવસમાં ક્યાંથી સુધાર આવી જશે. શું 50 દિવસમાં બધુ ઠીક ના થયું તો શું મોદીજી જવાબદારી લેશે?