સત્તામાં બેઠેલા લોકો ગરીબને ગરીબ જ રાખવા માંગે છે:રાહુલ ગાંધી
દિલ્હીમાં રાહુલ ગાંધીની તાજપોશી રાહુલ ગાંધીએ કર્યું સંબોધન, કોંગ્રેસ અધ્યક્ષા તરીકે સોનિયા ગાંધીએ પણ કર્યું છેલ્લું સંબોધન આ અંગે વધુ વાંચો અહીં...
શનિવારથી રાહુલ ગાંધી અધિકૃત રીતે કોંગ્રેસના અધ્યક્ષની જવાબદારી સંભાળનાર છે. રાહુલ ગાંધી વર્ષ 2013માં કોંગ્રેસના ઉપાધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસની કમાન રાહુલના હાથમાં સોંપવાના એક દિવસ પહેલાં જ સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદેથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોંગ્રેસ મુખ્યાલયમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, મધુસૂદન મિસ્ત્રી, પ્રિયંકા ગાંધી, રૉબર્ટ વાડ્રા સહિત તમામ કોંગ્રેસના નેતાઓ હાજર હતા. આ પ્રસંગે સંબોધન કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે, 'હું 13 વર્ષ પહેલાં રાજકારમમાં આવ્યો હતો. છેલ્લા થોડા વર્ષોમાં મેં ખૂબ યાત્રા કરી અને અનેક લોકો સાથે મુલાકાત કરી. આજે રાજકારણનો ઉપયોગ લોકોની સેવા માટે નહીં, પરંતુ તેમને દબાવવા માટે થઇ રહ્યો છે. જ્યારે હું રાજકારણમાં આવ્યો ત્યારે હું લોકોને જાગૃત કરવાની પ્રક્રિયાનો ભાગ બનવા માંગતો હતો. જે લોકો આજે સત્તામાં છે એ ગરીબોને ગરીબ જ રાખવા માંગે છે.'
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, 'વડાપ્રધાન ઇચ્છે છે કે, ગરીબ ગરીબ રહે, તેઓ લોકોને એમની પસંદનું ભોજન લેવાથી રોકી રહ્યાં છે. આજે માત્ર એક વ્યક્તિ માટે મૂલ્યાને તાક પર મૂકવામાં આવે છે. છેલ્લા થોડા વર્ષોમાં મેં અનુભવ્યું છે કે, આ લોકો કોંગ્રેસ પર હુમલો કરી પક્ષનો નબળો પાડવા માંગે છે, પરંતુ એમની નફરત અને હુમલાઓ આપણને વધુ મજબૂત બનાવે છે. અમે દરેક ભારતીયના અવાજને બચાવીશું. તમારી સામે ઉદાહરણ છે કે, એકવાર આગ લાગે તો એને હોલવવી અઘરી હોય છે, આ જ અમે ભાજપને સમજાવવા માંગીએ છીએ. ભાજપના લોકો દેશમાં આગ લગાવવા માંગે છે, એને રોકવાવાળી એક જ શક્તિ છે, કોંગ્રેસ અને તેના કાર્યકર્તાઓ. એ લોકો તોડે છે, અમે જોડીએ છીએ. એ લોકો આગ લગાડે છે, અમે ઓલવીએ છીએ. હું કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે, તમે સૌ મારો પરિવાર છો અને હું તમને મનથી પૂરો પ્રેમ આપીશ.'
'દેશના યુવાઓને હું કહેવા માંગુ છું કે, આ ભારતની ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી છે, પરંતુ આવનારા સમયમાં આપણે આને ભારતની ગ્રાન્ડ ઓલ્ડ અને યંગ પાર્ટી બનાવીશું. હું સૌ યુવાઓને આમંત્રણ આપું છું કે, તમે આવો. આપણે સૌ પ્રેમ અને ભાઇચારાવાળા ભારતનું નિર્માણ કરીશું. આપણે લડીશું અને ક્રોધ અને ગુસ્સાના રાજકારણને હરાવીશું. કોંગ્રેસ એક પ્રાચીન વિચાર છે. ભાજપ તમને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરશે કે, તે સૌથી જૂની વિચારધારા છે, પરંતુ એ સાચી વાત નથી. ભાજપ પોતાના માટે લડતી સેના છે, તેઓ સત્તામાં કઇ રીતે રહેવું એ અંગે વિચારે છે, પરંતુ અમે કોંગ્રેસના લોકો વિચારીએ છીએ કે આપણે સૌ કઇ રીતે સાથે રહીએ. અમે એમના માટે લડીએ છીએ, જેઓ એકલા નથી લડી શકતા. અમે માનીએ છીએ કે, ભાજપના લોકો પણ અમારા ભાઇ-બહેનો છે, એ લોકો કોંગ્રેસ-મુક્ત દેશની ઇચ્છા વ્યક્ત કરે છે, પરંતુ અમારું માનવું છે કે, નફરતને નફરતથી હરાવી ન શકાય.'
કોંગ્રેસ અધ્યક્ષા તરીકે સોનિયા ગાંધીનું છેલ્લું ભાષણ
આ પ્રસંગે સંબોધન કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે, 'કોંગ્રેસ અધ્યક્ષ બનવા પર હું રાહુલ ગાંધીને શુભકામનાઓ અને આશીર્વાદ આપું છું. આજે હું છેલ્લી વાર કોંગ્રેસ અધ્યક્ષ તરીકે તમારું સંબોધન કરી રહી છું. એક નવો સમય, નવા નેતૃત્વની આશા તમારી સામે છે. 20 વર્ષ પહેલાં જ્યારે તમે મને અધ્યક્ષ તરીકે ચૂંટી ત્યારે હું આ જ રીતે તમારું સંબોધન કરવા ઊભી થઇ હતી. મારા મનમાં ગભરાટ હતો, મારા હાથ ધ્રૂજી રહ્યા હતા. મને સમજાતું નહોતું કે હું આ ઐતિહાસિક સંગઠનને કઇ રીતે સંભાળીશ, મારી સામે મોટો પડકાર હતો, ત્યાં સુધી રાજકારણ સાથે મારે કોઇ સંબંધ નહોતો. મેં ઇન્દિરાજી પાસેથી શીખ લીધી. વર્ષ 1983માં તેમની હત્યા થઇ હતી, ત્યારે મને એમ થયું કે મારી માતા છીનવાઇ ગઇ. આ ઘટનાએ મારું જીવન બદલી કાઢ્યું. ત્યારે હું રાજકારણને અલગ નજરે જોતી હતી, હું પોતાને અને મારા બાળકોને રાજકારણથી દૂર રાખવા માંગતી હતી. રાજીવજીની હત્યા બાદ મને લાગ્યું કે, આ જવાબદારી નકારવાથી ઇન્દિરાજી અને રાજીવજીની આત્માને દુઃખ થશે, આથી દેશના પ્રત્યેના કર્તવ્યને સમજતા હું રાજકારણમાં આવી. એ સમયે માત્ર ત્રણ રાજ્યોમાં અમારી સરકાર હતી, કેન્દ્રથી અમે ઘણા દૂર હતા.'