રાહુલના નેતૃત્વમાં કામ કરવા માટે તૈયાર છું: મનમોહન સિંહ
નવી દિલ્હી, 7 સપ્ટેમ્બર: રશિયાના સેંટ પીટર્સબર્ગમાંથી જી-20 સંમેલનમાં ભાગ લીધા બાદ સ્વદેશ પરત ફરતી વખતે વડાપ્રધાન મનમોહન સિંહે શનિવારે કહ્યું હતું કે તે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કામ કરવા માટે તૈયાર છે. મનમોહન સિંહે આ સાથે એમપણ કહ્યું હતું કે રાહુલ ગાંધી 2014માં વડાપ્રધાનના પદ માટે આદર્શ ઉમેદવાર છે.
રશિયાથી પરત ફરતાં વડાપ્રધાનના આ નિવેદનથી રાજકીય વર્તુળમાં ગરમાવો વધી ગયો છે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર મનમોહન સિંહે કહ્યું હતું કે તે આગામી લોકસભાની ચુંટણીમાં રાહુલ ગાંધી વડાપ્રધાનના પદ માટે આદર્શ ઉમેદવાર હશે.
મનમોહન સિંહના જણાવ્યા અનુસાર તે પોતાના અમેરિકાના પ્રવાસ પર રોકાણકારોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કરશે. અર્થવ્યવસ્થા પર બોલતાં મનમોહન સિંહે કહ્યું હતું કે જાપાનની સાથે થયેલા કરન્સી કરારથી દેશને ટૂંકાગાળાની મદદ મળશે. તેમને કહ્યું હતું કે કોલસા ગોટાળાના મુદ્દે તેમને કંઇ છુપાવ્યું નથી. સાથે જ તેમને કહ્યું હતું કે આર્થિક સુધારાની અસર એફડીઆઇ પર જોવા મળશે.