મારા દાદી અને પિતાજીની જેમ મારી પણ હત્યા થઇ શકે : રાહુલ ગાંધી
ચુરુ, રાજસ્થાન, 23 ઓક્ટોબર : કોંગ્રેસના ઉપ પ્રમુખ રાહુલ ગાંધી પાંચ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓના પગલે ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જો કે વિકાસ અને મોંઘવારીના મુદ્દે માર ખાનાર કોંગ્રેસ પાસે અન્ય કોઇ મુદ્દાઓ નહીં હોવાથી રાહુલ ગાંધીએ હવે ગાંધી કુટુંબની કથા કહીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
પોતાની પાછલી જાહેર સભામાં પોતાની માતા સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત અને બિલદાનની વાત કર્યા બાદ આજે રાજસ્થાનના ચુરુમાં જાહેર સભાને સંબોધન કરતા રાહુલ ગાંધીએ પોતાના દાદી ઇન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યા જેવા લાગણીશીલ મુદ્દા ઉઠાવીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો.
ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે અહીં રાજકીય માહોલને વધુ ગરમ બનાવતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. રાજસ્થાનના ચૂરુમાં રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપ દેશમાં આગ ભડકવા છે અને અમે તે બુઝાવવીએ છીએ. તેમણે લોકોમાં ભાઇચારાની વાત કરી.
આ પ્રસંગે રાહુલે લાગણીશીલ થતાં જણાવ્યું કે આવા પક્ષોને કારણે દેશને નુકસાન થાય છે, લોકો મરે છે અને ભય પેદા થાય છે. મારા દાદીને મારી નાખ્યા, મારા પિતાને મારી નાખ્યા, હવે મને પણ મારી શકે છે, છતાં મને કોઈનો ડર નથી. આ પ્રસંગે તેમણે નાનપણમાં દાદી ઇંદિરા ગાંધીના મૃત્યુની વાત કહી સંભળાવી.
રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે નેતાઓ લોકોમાં નફરતના ભાવના પેદા કરે છે. મુઝફ્ફરનગરમાં બંને પક્ષોની વાત સાંભળી. તેઓ યુપી, ભાજપ કાશ્મીરમાં આગ લગાવી રહ્યા છે. ત્યારે અમે જઈને આગ બુઝાવીએ છીએ.