રેલવેની ચાલબાજી : યાત્રીઓ 66 ટકા વધારે ભાડું ચૂકવવું પડશે
નવી દિલ્હી, 7 ઓક્ટોબર : આજથી ભારતીય રેલવેના સુધારેલાં ભાડાંનું નવું માળખું અમલી બનવા સાથે ટ્રેનમાં પ્રવાસ કરવો મોંઘો બન્યો છે. સરકાર દ્વારા ભાડામાં 2 ટકાનો વધારો કર્યો હોવાનું કહેવાયું છે. જો કે વાસ્તવમાં પેસેન્જરના ખિસ્સા પર 66 ટકાનો વધારાનો બોજ પડ્યો છે.
કહેવાખાતર રેલવે ભાડું ભલે બે ટકા વધારવામાં આવ્યું છે પરંતુ રાઉન્ડ ઓફ સિસ્ટમ ફોર્મયુલા લાગુ પડવાથી આ વધારો વાસ્તવમાં 66 ટકા જેટલો થાય છે. સામાન્ય ટિકિટો પર રાઉન્ડ ઓફ 5 રૂપિયા હશે. જ્યારે રિઝર્વ ટિકિટો પર રાઉન્ડ ઓફ 10 રૂપિયા છે. એટલે કે મુસાફરોએ હવે રેલવેમાં રૂપિયા 11થી 14 વચ્ચે ભાડું થયું હોય તો તેના બદલે રૂપિયા 15 ભાડું ચૂકવવું પડશે. જે ભાડું 16થી 19 થતું હોય તેના માટે રૂપિયા 20 ભાડું ચૂકવવું પડશે. રિઝર્વેશનના યાત્રીઓ માટે આઉન્ડ ઓફ 10 રૂપિયા છે. એટલે જો ભાડું રૂપિયા 211 થાય તો યાત્રીએ રૂપિયા 220 ચૂકવવા પડશે.
સોમવારથી બેંગલોરથી દિલ્હી રાજધાનીના એસી પ્રથમ વર્ગના પ્રવાસ માટે પ્રવાસીઓએ રૂપિયા 90 વધુ ચૂકવવા પડશે. રેલવેએ સ્લીપર અને એસી સહિત નૂરભાડાંના બધા વર્ગમાં આશરે બે ટકાનો વધારો કર્યો છે. ફિરોઝપુરથી મુંબઇ આવતા પંજાબ મેલના એસી પ્રથમ વર્ગના પ્રવાસ માટે રૂપિયા 70 વધુ ચૂકવવા પડશે. અહીંથી રાજધાનીમાં મુંબઇ જવા એસી બીજા વર્ગ માટે રૂપિયા 40, જ્યારે જમ્મુ-રાજધાનીમાં એસી પ્રથમ વર્ગના જમ્મુ પ્રવાસ માટે વ્યક્તિએ રૂપિયા 35 વધુ ચૂકવવા પડશે.

આ સુધારેલ ભાડું ઓક્ટોબરની સાતમીથી એટલે કે આજથી જ પ્રવાસ માટે અગાઉથી ટિકિટ આપવાની સાથે શરૂ થાય છે. જોકે ઉપનગરીય ટ્રેનોના બીજા વર્ગની ટિકિટ તેમ જ મહિનાના પાસમાં કોઇ વધારો કરવામાં નથી આવ્યો.
ફ્યૂલ એડજેસ્ટમેન્ટ કોમ્પોનેન્ટ(એફએસી) દ્વારા ડીઝલ અને ઇલેક્ટ્રિકસિટીની કિંમતોમાં આશરે રૂપિયા 1200 કરોડનો વધારાનો બોજો થતાં તેનો સામનો કરવા રેલવેએ નક્કી કર્યું કે, પ્રવાસીઓનાં નૂરભાડાંમાં ફેરફાર કરવો. ભૂતપૂર્વ રેલવે પ્રધાન દિનેશ ત્રિવેદીએ 2012-13માં જ્યારે પ્રવાસ અને નૂર ભાડાંમાં વધારો કર્યો ત્યારે એમણે એફએસીનો પરિચય આપ્યો હતો.
વરિષ્ઠ રેલવે સૂત્રના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં ઇંધણમાં 7.3 ટકાનો વધારો થયો તેમ જ ઇલેક્ટ્રિકસિટીમાં પણ વધારો ઊછળીને 15.5 ટકો થયો, જેને પગલે ભાડાંમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે વર્ષમાં બીજી વખત પ્રવાસીઓનાં ભાડાંમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે સાતમી ઓક્ટોબરથી લાગુ કરાશે.
આજથી લાગુ થયેલા યાત્રી ભાડાના વધારા બાદ મેલ, એક્સપ્રેસ, શતાબ્દી અને રાજધાની ટ્રેનોમાં પાંચ રૂપિયાથી શરૂ કરીને 95 રૂપિયા સુધીનો વધારો થશે. આ ઉપરાંત દૂરંતો ટ્રેનનું ભાડું રાજધાની, શતાબ્દી ટ્રેનો જેટલું થઈ જશે. તેમાં 100થી 200 રૂપિયા સુધીનો ભાવ વધારો લાગુ પડશે.
સેકન્ડ ક્લાસના ભાડામાં નિશ્ચિત અંતર કરતા પાંચ રૂપિયા સુધીનો વધારો થશે, જ્યારે બાકી બધા જ ક્લાક (સ્લીપર, થર્ડ એસી, ફર્સ્ટ એસી અને એસી ચેરકાર)ના ભાડામાં 10 રૂપિયાથી માંડીને 95 રૂપિયા સુધીનો વધારો ઝિંકાયો છે.












Click it and Unblock the Notifications
