ગાંધી જયંતિ નિમિત્તે રાજ ઠાકરેએ મોદી પર નિશાન તાક્યું
મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાના ઓફિશિયલ પેજ પર એક કાર્ટુન પોસ્ટ કર્યું હતું. મુંબઇ રેલ દુર્ઘટના બાદ રાજ ઠાકરેએ મોદી સરકારનો કર્યો વિરોધ. આ અંગે વધુ વાંચો અહીં.
મહાત્મા ગાંધીની જન્મજયંતિ એ આપણા દેશને આઝાદી આપાવવા માટે ગાંધીજીએ સહન કરેલ વેદના અને કષ્ટોને યાદ કરવાનો દિવસ છે. ગાંધીજીએ 'મારા સ્વપ્નનું ભારત'માં આ દેશ આઝાદી બાદ કેવો હોવો જોઈએ તેની કલ્પના પહેલેથી જ કરી નાંખી હતી. પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે ભારતને ગાંધીના સપનાના ભારત જેવું બનાવી નથી શક્યા, પંરતુ રાજનૈતિક સ્વાર્થ માટે ગાંધીજીના નામનો ઉપયોગ ચોક્કસ થાય છે.
રાજ ઠાકરેએ પોસ્ટ કરેલુ કાર્ટુન
મહારાષ્ટ્રના નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાના ઓફિશિયલ પેજ પર Two Of The same soil ના શીર્ષક સાથેનું એક કાર્ટુન પોસ્ટ કર્યું છે. જેમાં મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદીના કાર્ટુન છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હાથમાં' સત્ય સાથે મારા પ્રયોગો' પુસ્તક છે, જ્યારે નરેન્દ્ર મોદીના હાથમાં 'અસત્ય સાથે મારા પ્રયોગો' પુસ્તક લઈને ઊભા છે. ગાંધી જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વ્યંગ કરતા તેમણે આ કાર્ટુન શેર કર્યું હતું.
રાજ ઠાકરેએ મોદી પર નિશાન સાધ્યું
મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઈમાં થોડા દિવસ પહેલા બનેલી રેલ્વે સ્ટેશનની ઘટના બાદ મોદી સરકારનો વિરોધ કર્યો હતો, આ સાથે જ તેમણે 5 ઓક્ટોબરના રોજ આંદોલનની પણ જાહેરાત કરી હતી. એ દુર્ઘટના બાદ ઠાકરેએ મોદીની બુલેટ ટ્રેન યોજનાનો પણ વિરોધ કરતાં જણાવ્યું હતું કે, અમે બુલેટ ટ્રેનની એક ઈટ પણ મુંબઈમાં રાખવા નહીં દઈએ.
મોદી સરકારની કરી ટીકા
થોડા દિવસ પહેલા થયેલ મુંબઈ દુર્ઘટના બાદ રાજ ઠાકરેએ સરકાર વિરુદ્ધ બોલતા જણાવ્યું કે, આપણને પાકિસ્તાન અને તેના આતંકવાદીઓની જરૂર જ નથી. આપણી રેલ્વે જ આપણા લોકોને મારવા માટે ઘણી છે, દેશમાં બીજા કોઈ દુશ્મનની જરૂર નથી. રેલ્વે અનુસાર, એ દુર્ઘટનાનુ કારણ વરસાદ હોવાનું જણાવવામાં આવ્યું હતું, તેના જવાબમાં ઠાકરે જણાવે છે કે, મુંબઈમાં આ પહેલી વખત તો વરસાદ નથી થયો, આ ઉપરાંત તેમણે સરકાર પાસે માંગ કરી છે કે, સ્ટેશનમાં રહેલી ખામીઓને કેટલા સમયમાં સરખી કરવામાં આવશે? તેનો મોદી સરકાર એક સમયગાળો જણાવે.