હવે કોંગ્રેસનો ફેસબુક ગોટાળો! રાજસ્થાન CM ઇસ્તાંબુલમાં વધુ લોકપ્રિય
ભાજપ પ્રવક્તા જ્યોતિ કિરણે દાવો કર્યો છે કે, 1 જૂન સુધી અશોક ગહલોતના ઓફિશિયલ ફેસબુક પેજ પર 1,60,077 લાઇક હતા, જે 30 દિવસમાં વધીને 2,14,639 થઇ ગયા છે. પ્રવક્તાએ કહ્યું છે કે તેમના સૌથી વધુ ફોલોઅર ઇસ્તાંબુલથી છે. જ્યોતિ કિરણે કહ્યું કે, ગહલોતે ઇસ્તાંબુલની આઇટી ફર્મ થકી ફેસબુકના લાઇક ખરીદ્યાં છે.
ફેસબુકના 'મોસ્ટ પોપ્યુલર સિટી' ફીચર અનુસાર, ગહલોતના પેજ પર અત્યારે સૌથી વધારે લાઇક તુર્કીના ઇસ્તાંબુલથી છે. હાલના સમયે તેમના પેજને ઇસ્તાંબુલના 63,440 લોકોએ લાઇક કર્યું છે. આ આંકડો 20 જૂનથી 7 જુલાઇ વચ્ચેનો છે. ખાસ વાત એ છે કે 5 મે સુધી ગહલોત જયપુરમાં સૌથી વધારે લોકપ્રિય હતા.
આ મામલે ભાજપા રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મળા સીતારમણે ટ્વીટ કર્યું છે,' રાજસ્થાનના મુખ્યમંત્રી માટે ફેસબુક લાઇક્સ ખરીદવામા આવ્યા હોવાનો ખુલાસો રાજસ્થાન ભાજપે કર્યો છે. ગહલોતજી ઇસ્તાંબુલમાં વધું લોકપ્રિય છે?'
કોંગ્રેસની પ્રવક્તા અર્ચના શર્માએ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે અને કહ્યું છે કે, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ જ કર્યું અને હવે તે અશોક ગહલોતને નીચું દેખાડવા માટે આવું કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આખા વિશ્વમાંથી કોઇપણ કોઇને પણ ફેસબુક પર લાઇક કરી શકે છે. ફેસબુક પર કોઇ રોક-ટોક નથી.