ટૂંક સમયમાં રાજધાની, શતાબ્દી, દુરન્તો 200 kmphની ઝડપે દોડશે
નવી દિલ્હી, 24ઓક્ટોબર : ભારતીય રેલવેએ દેશની પ્રીમિયમ ટ્રેન્સને વધારે ઝડપથી દોડાવવાની દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે. રેલમંત્રી મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે પ્રીમિયમ ટ્રેનો જેવી કે રાજધાની, શતાબ્દી અને દુરન્તો એક્સપ્રેસની ઝડપ વધારવાની કવાયત શરૂ કરી દીધી છે.
આ અંગે ખાસ વાત એ છે કે રેલવેના હાલના માળખા (ટ્રેક-કોચ-એન્જિન) પર આ ટ્રેનોને 160 થી 200 કિમી પ્રતિ કલાક દોડાવવામાં આવશે. જેથી દિલ્હી-મુંબઇ, દિલ્હી-કોલકાતાની યાત્રામાં ત્રણ કલાક સુધીનો સમય ઘટી જશે. તેના બદલે હાલમાં રેલ યાત્રીઓ પાસેથી વધારાનો ચાર્જ વસૂલવાની કોઇ વિચારણા નથી.
આ અંગે રેલવે બોર્ડના અધ્યક્ષ અરુણેન્દ્ર કુમારે જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સાકાર થવામાં હજુ સમય લાગશે. પરંતુ ટ્રેનોની ગતિ વધારવાના પ્રયાસો શરૂ થઇ ગયા છે. સેમી હાઇ સ્પીડ ટ્રેનોનું સપનું સાકાર કરવા માટે રેલવે આવતા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય સંમેલન કરવા જઇ રહ્યુ છે. અનેક દેશોથી આવેલા રેલ નિષ્ણાંતોની મદદથી સેમી હાઇ સ્પીડની સંભાવનાઓ શોધવામાં આવશે.
વધુમાં કુમારે જણાવ્યું કે હાલના રેલવે ટ્રેક પર રાજધાની-શતાબ્દી-દુરન્તોને 160-200 કિમી પ્રતિ કલાકની ગતિએ દોડવવામાં આવશે. આ માટે કોચ-ટ્રેકમાં ફેરફારની જરૂર નથી. ટ્રેન એન્જિન પણ આ ગતિએ સરળતાથી દોડી શકે છે. સિગ્નલ સિસ્ટમમાં થોડા સુધારાઓની જરૂર છે. હાઇ સ્પીડ ટ્રેન ચલાવવા માટે ડ્રાઇવર-ગાર્ડને તાલીમ આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે સેમી હાઇ સ્પીડનો પાયલોટ પ્રોજેક્ટ શતાબ્દી રૂટ પર શરૂ કરવામાં આવશે. 29-30 ઓક્ટોબરના સંમેલનમાં એ નક્કી થઇ જશે કે કયા રૂટ પર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તમામ રાજધાની, શતાબ્દી અને દુરન્તો ટ્રેનોને સેમી હાઇ સ્પીડ પર દોડાવવાનું શરૂ કરી દેવાશે. અરુણેન્દ્રએ કહ્યુ કે, મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ચલાવા માટે ફિજિબિલિટી રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે.
ઝડપથી ટ્રેન્સ દોડાવવાના પહેલા ચરણમાં નવી દિલ્હી-અમૃતસર, મુંબઇ-વડોદરા-અમદાવાદ, હાવડા-ટાટાનગર-ધનબાદ-રાંચી, ચેન્નઇ-બેંગલુરુ વચ્ચે ચાલનારી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનોની રફતાર 160 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે.
હાઇ સ્પીડ ટ્રેનો માટે રેલવે પાસે પયાંપ્ત આધુનિક ટેક્નોલોજીના કોચ(એલએચબી) અને 6000 હોર્સ પવાર એન્જિન છે. દિલ્હી-કાનપુર, હાવડા-મુગલસરાય સેક્શન, દિલ્હી-ભોપાલ, દિલ્હી-અમૃતસર, મુંબઇ-નવી દિલ્હી વગેરે સેક્શનના સિગ્નલ સિસ્ટનું આધુનિકરણ અંતિમ તબક્કામાં છે.