રાજેશ તલવારે જ કરી છે આરુષિ-હેમરાજની હત્યા: સીબીઆઇ
મંગળવારે વિશેષ સીબીઆઇ કોર્ટમાં ડિફેન્સના સવાલોનો જવાબ આપતા કૌલે જણાવ્યું કે હેમરાજ પર હુમલો આરુષિના રુમમાં તેના બેડ પર થયો હતો અને ત્યારબાદ તેને ચાદરમાં નાખીને ધાબા પર લઇ જવાયો હતો. તેમણે જણાવ્યું કે હેમરાજને ઘસેડીને ધાબા પર એક ખૂણામાં લઇ જઇને તેનું ગળું કાપી નાખવામાં આવ્યું.
બચાવ પક્ષ તરફથી પૂછવામાં આવેલા 50થી વધારે સવાલોના જવાબ આપતા આ કેસના તપાસ અધિકારી કૌલે જણાવ્યું કે ઘટનાની રાત્રે 12 વાગ્યા સુધી ડો. રાજેશ તલવાર પોતાના રૂમમાં જાગતા હતા. કૌલે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર આરુષિ અને હેમરાજની મોતનો સમય રાત્રે 12 વાગ્યાથી એક વાગ્યાની વચ્ચેનો હતો. તેમણે જણાવ્યું કે તપાસ અનુસાર રાત્રે 12 વાગ્યે ડો. રાજેશે પોતાના ફ્લેટમાં કંઇક અવાજ સાંભળી તેઓ પોતાના રૂમમાંથી નીકળ્યા અને લોબીમાં થઇને હેમરાજના રૂમમાં ગયા જ્યાં તે હાજર ન્હોતો.
કૌલે જણાવ્યું કે તપાસ અનુસાર હેમરાજના રૂમમાં બે ગોલ્ફ સ્ટિક હતી. એક રાજેશ તલવારે ઉઠાવી. દરમિયાન તેમને લાગ્યું કે અવાજ આરૂષિના રૂમમાંથી આવી રહી છે. આરૂષિના રૂમનો દરવાજો બંધ ન્હોતો. દરવાજો ખુલો જોઇને રાજેશ અંદર ગયા. જ્યાં આરુષિ અને હેમરાજને રાજેશ તલવારે કઢંગી હાલતમાં જોતા જ રોષે ભરાઇ તેમની પર ગોલ્ફ સ્ટીકથી વાર કરી દીધો. એક જ ફટકામાં હેમરાજ ઢળી પડ્યો અને બીજા ફટકો આરુષિને માથામાં વાગી ગયો. બાદમાં રાજેશે ઘણા ફટકા માર્યા, જેના અવાજ સાંભળીને ડો. નૂપૂર તલવાર આવી ગઇ. માથામાં વાગવાથી હેમરાજ બેડ પરથી નીચે પડી ગયો હતો.
કૌલે જણાવ્યું કે તલવાર દંપતીએ આરુષિના પલ્સ જોયા પણ તે મૃત્યુ પામી હતી. ગભરાયેલા દંપતીએ હેમરાજને મારવાનો અને તેનો મૃતદેહ છૂપાવવાનો પ્લાન બનાવ્યો. તલવાર દંપતીએ હેમરાજને ચાદરમાં લપેટીને ઘસેડીને ધાબા પર એક ખૂણામાં લઇ જઇને ધારદાર હથિયારથી તેનું ગળું કાપી નાંખ્યું. ત્યારબાદ ડો. નૂપુર તલવારે આરુષિના પ્રાઇવેટ પાર્ટસને સાફ કર્યા. લોહીના ડાઘ સાફ કરીને, લોહીના ડાઘવાળા કપડા, ચાદર, સ્ટીક અને ધારદાર હથિયાર ફ્લેટની બહાર છૂપાવી દીધું.