આજથી રાજ્યસભાના સત્રની શરૂઆત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે સંયુક્ત સત્રને સંબોધિત
નવી સરકારની રચના બાદ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે.
નવી સરકારની રચના બાદ આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ આજે સવારે 11 વાગે સેન્ટ્રલ હૉલમાં સંયુક્ત અધિવેશનને સંબોધિત કરશે. પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ સરકારની ભાવિ યોજનાઓ અને સરકારના એજન્ડાને રજૂ કરશે. તમને જણાવી દઈએ કે આજથી રાજ્યસભાનું પણ સત્ર શરૂ થઈ રહ્યુ છે. સત્રની શરૂઆતથી પહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તમામ રાજ્યસભાના સાંસદો સાથે મુલાકાત કરશે. રાજ્યસભાનું સત્ર 20 જૂનથી 26 જુલાઈ સુધી ચાલશે.
માનવામાં આવી રહ્યુ છે કે આજે યોજનારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનમાં 2022 સુધી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નવા ભારતની રૂપરેખા રજૂ કરવામાં આવશે. કૃષિ, રોજગાર, સુરક્ષા અને વિદેશ નીતિના મોરચે આગામ અમુક વર્ષોમાં આ સરકાર કેવી રીતે કામ કરશે તેની રૂપરેખા રાષ્ટ્રપતિના સંબોધનમાં જોવા મળી શકે છે. રાષ્ટ્રપતિના અભિભાષણના અડધા કલાક બાદ લોકસભા અને રાજ્યસભાના પટલ પર અભિભાષણની પ્રત મૂક્યા બાદ સંસદની કાર્યવાહીને શુક્રવાર સુધી સ્થગિત કરી દેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે લોકસભા સત્રની 17 જૂનથી શરૂઆત થઈ ગઈ છે. લોકસભાનું સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. જ્યારે 4 જુલાઈના રોજ નાણા મંત્રાલય તરફથી આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે અને દેશની પહેલી મહિલા નાણામંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઈના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરશે. આ ઉપરાંત આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગે અશોકા હોટલમાં સંસદના તમામ સભ્યો માટે આયોજિત ડિનરની મેજબાની કરશે અને તમામ નવા સાંસદો સાથે મુલાકાત કરશે.
આ પણ વાંચોઃ દેશના આ રાજ્યોમાં આજે ભારે વરસાદની સંભાવના જ્યારે અમુક સ્થળોએ આવી શકે છે આંધી