12 વર્ષના વનવાસ બાદ 'રામ' ઘરે પરત ફર્યા, ભાજપ-લોજપાનું ગઠબંધન
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી: બરોબર 12 બાદ ફરી એકવાર લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાને એનડીએનું દામન પકડી લીધું છે. ગુરૂવારે સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને લોજપા અધ્યક્ષ રામવિલાસ પાસવાને અશોક રોડ સ્થિત રાજનાથ સિંહના નિવાસ પર એક સંયુક્ત પત્રકાર પરિષદમાં ભાજપ-લોજપા ગઠબંધનની જાહેરાત કરી. રાજનાથ સિંહે કહ્યું હતું કે આ ગઠબંધનથી બિહારમાં બંને દળોને ફાયદો થશે. બિહારમાં જે 7 સીટો પર લોજપાની સાથે ચૂંટણી ગઠબંધન થયું છે તેમાં હાજીપુર, જમુઇ, સમસ્તીપુર, વૈશાલી, ખગડિયા, મુંગેર અને નાલંદાનો સમાવેશ થાય છે.
રામ વિલાસ પાસવાને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે સ્વિકાર કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર છે એટલા આ અંગે કોઇ પ્રશ્ન ઉદભવતો નથી. ભાજપના અધ્યક્ષ અને લોજપાના અધ્યક્ષ બંનેએ એ વાતની જાહેરાત કરી હતી કે 3 માર્ચના રોજ બિહારના મુજફ્ફરપુરમાં યોજાનારી નરેન્દ્ર મોદીની રેલીમાં રામવિલાસ પાસવાન પોતાના બધા નેતાઓની સાથે સામેલ થશે.
રામવિલાસ પાસવાને કહ્યું હતું કે એનડીએમાં તે પહેલાં રહી ચૂક્યાં છે અને આ તેમનું ફરીથી પુનરાવર્તન છે જેથી તેઓ ખુશ છે. તેમણે કહ્યું હતું કે દલિતોને લઇને હવે કોઇ પણ પ્રકારનો ભ્રમ ન હોવો જોઇએ કારણ કે એક તરફ આખો દલિત સમાજ આજે ભાજપમાં સામેલ થઇ ગયો છે. તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટી ઉપરાંત આરપીઆઇના રામદાસ અઠાવલે અને એક અન્ય મોટા નેતા ઉદિત રાજ પણ ભાજપનો ભાગ બની ચૂક્યાં છે.
રામવિલાસ પાસવાને કહ્યું હતું કે તે એનડીએ અને યુપીએ, બંને સરકારોમાં રહી ચૂક્યાં છે પરંતુ ગત આઠ વર્ષોમાં યુપીએએ દલિતો માટે કંઇ કર્યું નથી, જ્યારે એનડીએ તેના માટે પ્રતિબદ્ધ છે. અલ્પસંખ્યકોના પ્રશ્ન પર રામવિલાસ પાસવને કહ્યું હતું કે આ સમુદાય માટે પ્રતિબદ્ધતા તેમની પાર્ટીનું મિશન છે અને તે રહેશે. તેમણે કહ્યું હતું કે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે ગઇકાલે મુસલમાનોના એક સંમેલનમાં એક સમુદાય પ્રત્યે સદભાવના ખુલ્લેઆમ પ્રગટ કરી છે જેથી મુસલમાનો પ્રત્યે ભાજપનું વલણ સ્પષ્ટ થઇ ગયું છે અને તેમાં કોઇ શંકાની ગુંજાઇશ નથી. આ અવસર પર લોજપા સંસદીય બોર્ડના અધ્યક્ષ અને રામવિલાસ પાસવાનના પુત્ર ચિરાગ પાસવાન પર હાજર હતા.