નવી દિલ્હી, 27 માર્ચ: ભાજપ રાયબરેલીથી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરૂદ્ધ પાર્ટીની વરિષ્ઠ અને ફાયરબ્રાંડ હિન્દુત્વ નેતા ઉમા ભારતીને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. સમાચાર ચેનલોના અહેવાલ અનુસાર ભાજપ કોર કમિટીની બેઠકમાં ઉમા ભારતીને રાયબરેલીથી ચૂંટણી લડાવવા માટે સહમતિ બની ચૂકી છે. આ સાથે જ ભાજપ અમેઠીથી પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિરૂદ્ધ દમદાર ઉમેદવાર ઉભો રાખવા માટે વિચાર કરી રહી છે. જો કે હજુ સુધી આ અંગે ભાજપ દ્વારા કોઇ આધિકારીક જાહેરાત થઇ નથી.
પાર્ટીના ટોચના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે પાર્ટી ઉમા ભારતીને ઝાંસીના બદલે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ચૂંટણી લડાવવા માટેના પ્રસ્તાવ પર ગંભીર વિચાર કરી રહી છે.
યોગ ગુરૂ બાબા રામદેવે પણ રાયબરેલીથી ઉમા ભારતીની ઉમેદવારીનું સમર્થન કરતાં આ અંગે પાર્ટીના ટોચના નેતૃત્વને અનુરોધ કર્યો છે. તેમને ટ્વિટ કર્યું હતું કે 'હું ભાજપને અપીલ કરું છું કે તે પોતાની મજબૂત નેતા ઉમેદવાર ઉમા ભારતીને રાયબરેલીમાં સોનિયા ગાંધી વિરૂદ્ધ ઉતારે.' પાર્ટી સૂત્રોએ પુષ્ટિ કરી છે કે રામદેવે ઉમા ભારતીની ઉમેદવારી સંબંધમાં ભાજપના ટોચ નેતાઓ સાથે વાતચીત કરી છે.