રંજન ગોગોઈ બનશે ભારતના આગામી CJI, 2 ઓક્ટોબરે લઈ શકે શપથ
જસ્ટિસ રંજન ગોગોઈ દેશના આગામી મુખ્ય ન્યાયાધિશ બની જશે તે લગભગ ફાઈનલ છે. 2 ઓક્ટોબરે વર્તમાન મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા રિટાયર થઈ રહ્યા છે.
જસ્ટિસ રંજન ગોગોઈ દેશના આગામી મુખ્ય ન્યાયાધિશ બની જશે તે લગભગ ફાઈનલ છે. 2 ઓક્ટોબરે વર્તમાન મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા રિટાયર થઈ રહ્યા છે. પરંપરા મુજબ સુપ્રીમ કોર્ટના સૌથી સીનિયર જજને ચીફ જસ્ટિસ બનાવવામાં આવે છે, અને સીનિયોરિટી મામલે જસ્ટિસ દીપક મિશસ્રા બાદ જસ્ટિક ગોગોઈ સૌથી વધુ સીનિયર છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિસ ગોગોઈ સુપ્રીમ કોર્ટના એવા ચાર જજોમાં સામેલ છે જેમણે 12 જાન્યુઆરી 2018ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને સીજેઆઈના કામકાજ પર સવાલો ઉઠાવ્યા હતા.
2 ઑક્ટોબરે શપથ ગ્રહણ કરી શકે છે
ઈન્ડિયા રિપોર્ટ મુજબ પહેલેથી જ અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે જસ્ટિસ ગોગોઈ આગામી ચીફ જસ્ટિસ બનશે. સૂત્રો મુજબ ગોગોઈના નામ પર ઔપચારિક મોહર લાગી ગઈ છે અને 2 ઓક્ટોબરના રોજ તેઓ CJI તરીકે શપથ ગ્રહણ કરશે. રિપોર્ટ કાયદા મંત્રાલયના પ્રોટોકોલ અંતર્ગત જસ્ટિસ દીપક મિશ્રાને પોતાના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરવા કહેવામાં આવ્યું છે. જસ્ટિસ મિશ્રા 2 સપ્ટેમ્બરે કાયદા મંત્રાલયને પોતાના ઉત્તરાધિકારીનું નામ મોકલી શકે છે.
ગોગોઈ નામની ભલામણ કરાશે
સીનિયર વકીલ ઈન્દિરા જયસિંહે પણ દાવો કર્યો છે કે જસ્ટિસ ગોગોઈ જ દેશસના આગલા ચીફ જસ્ટિસ હશે. એમણે એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે બિન સત્તાવાર રીતે માલુમ પડ્યું છે કે સીજેઆઈ માટે 2 સપ્ટેમ્બર સુધીમાં કેન્દ્ર સરકારને નામની ભલામણ મોકલી આપવામાં આવશે અને રંજન ગોગોઈ આગામી સીજેઆઈ હશે.
કોણ છે જસ્ટિસ ગોગોઈ?
જસ્ટિસ ગોગોઈનો જન્મ 18 નવેમ્બર 1954ના રોજ થયો હતો. 1978માં તેમણે વકાલત શરૂ કરી હતી અને 28 ફેબ્રુઆરી 2001ના રોજ તેમને ગુવાહાટી હાઈકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. જેના 9 વર્ષ બાદ 9 સપ્ટેમ્બર 2010ના રોજ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં તેમનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. 12 ફેબ્રુઆરી 2011ના રોજ તેઓ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. 23 એપ્રિલ 2012ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટમાં આવ્યા. જો તેઓ સીજેઆઈ બને તો તેમનો કાર્યકાળ 1 વર્ષ 1 મહિનો અને 14 દિવસનો હશે કેમ કે તેઓ 17 નવેમ્બર 2019ના રોજ રિટાયર થશે.