રણજીત મર્ડર કેસ : ગુરમીત રામ રહીમ સહિત 5 દોષિતોને આજીવન કેદ, 31 લાખનો દંડ
રણજીત સિંહ હત્યા કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટનો નિર્ણય સોમવારના રોજ આવ્યો હતો. આ કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા.
નવી દિલ્હી : રણજીત સિંહ હત્યા કેસમાં વિશેષ સીબીઆઈ કોર્ટનો નિર્ણય સોમવારના રોજ આવ્યો હતો. આ કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા ગુરમીત સહિત 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે રહીમ પર 31 લાખ અને બાકીના આરોપીઓને 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસ અત્યંત સંવેદનશીલ છે, જેના કારણે વહીવટી તંત્ર દ્વારા ચૂકાદો આવે તે પહેલા જ પંચકુલા જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી હતી.
રામ રહીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી
10 જુલાઈ, 2002 ના રોજ ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં હરિયાણા પોલીસે આ મામલાની તપાસ કરી હતી, પરંતુ બાદમાંઆ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ મામલે દલીલો 12 ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી.
તેમજ ઓક્ટોબરની શરૂઆતમાં કોર્ટે 5 લોકોને દોષિત ઠેરવ્યાહતા, જેમાં રામ રહીમનો પણ સમાવેશ થાય છે. જે બાદ સોમવારના રોજ CBI ની વિશેષ અદાલતે આ મામલે વિગતવાર ચૂકાદો આપ્યો છે. જે અંતર્ગત રામ રહીમનેઆજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
બળાત્કાર માટે જેલમાં બંધ
ઉલ્લેખનીય છે કે, રામ રહીમ દ્વારા તેના બે અનુયાયીઓ પર બળાત્કાર કરવા બદલ જેલમાં 20 વર્ષની સજા કાપી રહ્યો છે. છેલ્લી સુનાવણી દરમિયાન સીબીઆઈએતેના માટે ફાંસીની સજાની માંગણી કરી હતી, પરંતુ તે બાદ રામ રહીમે એક નવું પગલું ભર્યું અને બીમારીને ટાંકીને કોર્ટ પાસેથી દયાની અરજી કરી હતી. રામ રહીમ કહેછે કે તે બ્લડ પ્રેશર, આંખ અને કિડનીની સમસ્યાઓ સાથે સંઘર્ષ કરી રહ્યો છે. તે કિસ્સામાં તેને છોડી દેવો જોઈએ. તેની સુનાવણી દરમિયાન તે વીડિયો કોન્ફરન્સિંગદ્વારા રોહતક જેલથી જોડાયો હતો.
હિંસામાં ઘણા લોકોના મોત થયા હતા
રામ રહીમને વર્ષ 2017માં બળાત્કાર સંબંધિત કેસમાં સજા ફટકારવામાં આવી હતી. જે બાદ હરિયાણા-પંજાબના ઘણા વિસ્તારોમાં હિંસક દેખાવો થયા હતા. જેમાં 36લોકોના મોત થયા હતા. આ વખતે આવી ઘટના ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્રે પંચકુલામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી હતી. કલમ 144 હજૂ પણ અમલમાં છે.