આસામ-ત્રિપુરામાં રેકોર્ડબ્રેક 84 ટકા મતદાન, વોટિંગ સાંજે 7 સુધી થશે
ગુવાહાટી, 7 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014ના પ્રથમ તબક્કામાં આજે આસામ અને ત્રિપુરાની 6 બેઠકો માટે યોજાયેલા મતદાનમાં 84 ટકા જેટલું ઊંચુ મતદાન નોંધાયું હતું.
આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 84એ પહોંચી હતી. મતદાનના આ પ્રમાણ એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે. મતદાન સાંજે સાત વાગ્યા સુધી ચાલુ રાખવાનો સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે. અસમની પાંચ બેઠકો માટે શાંતિપૂર્વક મતદાન થયું હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે.
બપોર સુધીમાં આસામની તેઝપુર બેઠક પર 27 ટકા, જોરહટમાં 45 ટકા, લખીમપુરમાં 32 ટકા મતદાન થયું છે, જ્યારે દિબ્રુગઢમાં 38 ટકા તેમજ કોલિઆબોરમાં 30 ટકા મતદાન થયું છે. ત્રિપુરા (પશ્ચિમ)ની બેઠક પર બપોર સુધીમાં 40 ટકા મતદાન થયું છે.

આસમમાં વહેલી સવારથી મતદાન માટે મોટી મોટી લાઇનો લાગી હતી. અહીં સાત વાગે મતદાન શરૂ થયું હતું, ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો. ખાસ કરીને મહિલાઓ વહેલી સવારથી જ લાઇન લગાવીને ઉભી હતી.
આસામના મુખ્યપ્રધાન તરુણ ગોગોઈ અને તેમના પત્ની ડોલી ગોગોઈ અને તેમના પુત્ર ગૌરવ ગોગોઈ પણ અહીંની જોરહટ બેઠક માટે પોતાનો મત આપ્યો. મતદાનને પગલે અહીં પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. ત્રિપુરાના મુખ્યપ્રધાન માનિક સરકારે પણ વહેલી સવારે જ મતદાન આપવા પહોંચી ગયા હતા.
16મી લોકસભાની 543 બેઠકો માટેની ચૂંટણીપ્રક્રિયા, જેને વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયા તરીકે ગણવામાં આવે છે તેનો આજથી શુભારંભ થયો છે. આસામ અને ત્રિપુરા રાજ્યમાં કુલ 6 બેઠકો માટે જંગી મતદાન થયું છે. આસામમાં પાંચ બેઠકો અને ત્રિપુરામાં એક બેઠક માટે મતદાન છે.
આસામના તેઝપુર, કાલીયાબોર, જોરહટ, દીબ્રુગઢ અને લખીમપુરમાં આજે મતદાન છે તો ત્રિપુરામાં ત્રિપુરા પશ્ચિમ બેઠક પર લોકો માટે તેમનો મતાધિકાર હાંસલ કરવાનો દિવસ છે. આ તમામ ૬ બેઠકો મળીને કુલ 76,69,551 મતદારો છે. ત્રિપુરાની એકમાત્ર લોકસભા બેઠકના મતદારોની સંખ્યા 12,48,547 છે. આ છ બેઠકો માટે કુલ 51 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
લોકસભાની ચૂંટણી કુલ 9 તબક્કામાં યોજાવાની છે. આજથી શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા 36 દિવસ સુધી ફેલાયેલી છે. મતદાન માટેનો અંતિમ દિવસ 12 મે છે. 16 મેએ મતગણતરી હાથ ધરાશે અને તે જ દિવસે સમગ્ર દેશની તમામ બેઠકોનું પરિણામ ઘોષિત કરાશે.












Click it and Unblock the Notifications
