Revanth Reddy Oath Ceremony: રેવંત રેડ્ડી બન્યા તેલંગાણાના બીજા મુખ્યમંત્રી, કોંગ્રેસના આ નેતા રહ્યા હાજર
Revanth Reddy Oath Ceremony: તેલંગાણા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અનુમુલા રેવંત રેડ્ડીએ રાજ્યના બીજા મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધી હતી. રેવંત રેડ્ડીની સાથે 11 ધારાસભ્યોએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. 56 વર્ષીય નેતા રેવંત રેડ્ડીના શપથ ગ્રહણ સમારોહ વિશાલ લાલ બહદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં આયોજન કરવામાં આવ્યું છે.
શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) અધ્યક્ષ રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા, નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમાર જોડાયા હતા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં લગભગ એક લાખ લોકોએ હાજરી આપી હતી. (ફોટો - એએનઆઇ)

રેવંત રેડ્ડી ફૂલોથી શણગારેલી ઓપન જીપમાં શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. રેવંત રેડ્ડીએ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે લોકોને ખુલ્લું આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે, લોકોની સરકાર આજે કાર્યભાર સંભાળશે, જે લોકતાંત્રિક અને પારદર્શક શાસનને મહત્વ આપશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ને હરાવીને 119માંથી 64 બેઠકો જીતી હતી. હવે રેવંત રેડ્ડીને કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી 6 ચૂંટણી ગેરંટી પૂરી કરવાના પડકારનો સામનો કરવો પડશે.
કોંગ્રેસની છ ગેરંટી
પ્રથમ ગેરંટી - મહિલા-કેન્દ્રિત કલ્યાણ કાર્યક્રમ હેઠળ, મહિલાઓને દર મહિને 2500 રૂપિયા, ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં અને જાહેર પરિવહનમાં મફત મુસાફરી આપવામાં આવશે.
બીજી ગેરંટી - કોંગ્રેસે 10 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવાનું પણ વચન આપ્યું છે.
ત્રીજી ગેરંટી - જમીન અને મકાનના બાંધકામ માટે રૂપિયા 5 લાખ આપવામાં આવશે.
ચોથી ગેરંટી - ગૃહ જ્યોતિ યોજના હેઠળ, પાત્ર ઘરોને 200 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
પાંચમી ગેરંટી - યુવા વિકાસ યોજના હેઠળ યુવા વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
છઠ્ઠી ગેરંટી - વૃદ્ધો, વિધવાઓ, અપંગો, રોજિંદા મજૂરો, સિંગલ વુમન, વણકર, એઇડ્સ અને ફાઇલેરિયાના દર્દીઓ તેમજ ડાયાલિસિસ કરાવી રહેલા કિડનીના દર્દીઓને દર મહિને રૂપિયા 4000નું પેન્શન આપવામાં આવશે.
3 ડિસેમ્બરના રોજ જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસે 64 બેઠકો જીતી હતી, જ્યારે BRSને 39, ભાજપે 8, AIMIMએ સાત અને CPIએ એક બેઠક જીતી હતી. તેલંગાણાના નાણાકીય વર્ષ 2023-24ના બજેટ અનુસાર, કુલ આવક રૂપિયા 2.16 લાખ કરોડ હોવાનો અંદાજ હતો, જ્યારે આવક ખર્ચ રૂપિયા 2.12 લાખ કરોડ હતો.












Click it and Unblock the Notifications
