RSS ભારતના ટૂકડા-ટૂકડા કરી રહ્યુ છેઃ મણિશંકર ઐય્યર
કોંગ્રેસ નેતા મણિશંકરે ઐય્યરે આરએસએસ પર મોટો આરોપ લગાવી કહ્યુ કે તે ભારતના ટૂકડા-ટૂકડા કરી રહ્યુ છે.
રાષ્ટ્રૂીય સ્વયસેવક સંઘને લઈને લઈને કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે એક વાર ફરીથી એવુ નિવેદન આપ્યુ છે જેના કારણે તેઓ ચર્ચામાં આવી ગયા છે. મણિશંકર ઐય્યરે કહ્યુ કે આરએસએસ ભારતના ટૂકડા કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે ધર્મ, ભાષા, જાતિ, સંસ્કૃતિના આધારે સંઘ પરિવાર લોકોમાં ભાગલા પાડી રહ્યુ છે, દેશના ટૂકડા-ટૂકડા કરી રહ્યુ છે. ભારત જોડો યાત્રા સંઘ પરિવારના ખોટા કામના કારણે થઈ રહી છે. ભારતને એકવાર ફરીથી એક કરવાની જરુર છે.
કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી દરમિયાન આયોજિત એક કાર્યક્રમમાં મણિશંકર ઐય્યરે આ વાત કહી. જ્યારે ઐય્યરને પૂછવામાં આવ્યુ કે શું ભારતનુ વિભાજન થઈ ગયુ છે તો તેમણે કહ્યુ કે હું આ થતુ જોઈ શકુ છુ, શું તમે જોઈ શકતા નથી કે દેશને તોડવાના કેટલા પ્રયાસો થઈ રહ્યા છે. મણિશંકર ઐય્યરના નિવેદન પર ભારતીય જનતા પાર્ટીએ તીખી પ્રતિક્રિયા આપી છે. પાર્ટીના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યુ કે કોંગ્રેસ પોતે રાજસ્થાનથી લઈને કર્ણાટક સુધી તૂટી ગઈ છે, હવે આ લોકો ફરી એકવાર સરદાર પટેલને નીચુ દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે કહ્યુ કે મણિશંકર ઐય્યર કહે છે કે ભારત તૂટી ગયુ છે તો શું સરદાર પટેલ સરકાર ભારતને એક ન કરી શક્યા, શું રાહુલ ગાંધી આ કામ કરશે? ભારતનુ માત્ર એક જ વખત વિભાજન થયુ હતુ અને તે કોંગ્રેસના સમયમાં જ્યારે દેશના ભાગલા પડ્યા હતા. પૂનાવાલાએ કહ્યુ કે મણિશંકર ઐય્યર જણાવે કે શું તમે અને કોંગ્રેસ સરદાર પટેલ અને તેમના યોગદાનને સ્વીકારતા નથી.આ ભારત જોડો નહિ પણ ભારત તોડો, નફરતમાં જોડો યાત્રા છે. મેધા પાટકર, જ્યૉર્જ પોનીયન જેવા લોકો આ યાત્રામાં ભાગ લઈ રહ્યા છે, તેનાથી સ્પષ્ટ છે કે આ ભારત તોડો યાત્રા છે. ભાજપે કોંગ્રેસ પર ટૂકડે-ટૂકડે ગેંગને સમર્થન કરવાનો આરોપ લગાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે મણિશંકર ઐય્યર આ પહેલા પણ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવ્યા હતા. 2014ની લોકસભા ચૂંટણી પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચાયવાલા શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે મોદીએ દિલ્લીના તાલકટોરા સ્ટેડિયમની બહાર ચાની સ્ટૉલ ખોલવી જોઈએ. જે બાદ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેમણે પીએમ માટે 'નીચ કિસમ કા આદમી' શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેમની હકાલપટ્ટી પાછી ખેંચી લેવામાં આવી હતી.