કાશ્મીર ઓમરની વારસાગત મિલકત નથી : RSS
નવી દિલ્હી, 28 મે : નરેન્દ્ર મોદી સરકારમાં રાજ્ય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે કલમ 370 મુદ્દે કરેલી ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે. જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાના ટ્વીટ બાદ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘે કહ્યું કે કલમ 370 રહે કે ન રહે, કાશ્મીર હંમેશાથી ભારતનું અભિન્ન અંગ છે.
આરએસએસના પ્રવક્તા રામ માધવે ટ્વીટ કર્યું છે કે 'કાશ્મીર ઓમરની પૈતૃક સંપત્તિ નથી, કલમ 370 રહે કે નહીં, પણ તે ભારતનું અભિન્ન અંગ રહેશે.'
મંગળવારે નવા નિમાયેલા પ્રધાન જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે કલમ 370ને કારણે રાજ્યને ભારે નુકસાન થઈ રહ્યું છે અને તેને રદ કરવાનો વિરોધ માત્ર રાજકીય કારણોસર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ કલમને દૂર કરવા માટે ચર્ચા કરાશે, જેથી દેશના યુવાનો તેનાથી થતા નુકસાન અંગે સભાન બને. જોકે બાદમાં તેમણે આ નિવેદનથી ફેરવી તોળવ્યું હતું. તેમણે કહ્યું કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે.
કલમ 370 દૂર કરવા મુદ્દે જીતેન્દ્ર સિંહના નિવેદન બાદ ઓમર અબ્દુલ્લાહ અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ જોરદાર વિરોધ કર્યો હતો. મહેબૂબાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની માગ કરી. બીજી તરફ ઓમરે આ મુદ્દે તીવ્ર પ્રતિઘાત આપતા કહ્યું, જમ્મુ કાશ્મીર અને અન્ય ભારત વચ્ચે સંપર્ક માત્ર 370 કલમથી છે, તેને હટાવવાની વાત કરવીએ માહિતીનો અભાવ અને બેજવાબદારીભર્યું વર્તન દર્શાવે છે.
પીએમઓના નવા રાજ્ય પ્રધાને જણાવ્યું કે કલમ 370 હટાવવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ શરૂ થઈ ગયો છે, બહુ ઝડપી શરૂઆત છે, ખબર નહીં કોણ વાત કરી રહ્યું છે.
અબ્દુલ્લાએ કહ્યું કે કલમ 370ને હટાવવાની અસરને કારણે કાશ્મીર ભારતથી અલગ થઈ શકે છે. તેમણે ટ્વીટ કર્યું હતું, મારી આ ટ્વીટને સેવ કરી રાખશો, મોદી સરકાર જ્યારે ભૂતકાળ થઈ જશે, ત્યારે પણ આ કલમ 370 રહેશે, અથવા જમ્મુ કાશ્મીર ભારતનું અંગ નહીં રહે.