Russia Ukraine conflict : ભારતે પોતાના નાગરિકોને પરત લાવવા ગતિવિધિ તેજ કરી, લીધો આ નિર્ણય
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે.
Russia Ukraine conflict : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે યુક્રેનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો તેજ કર્યા છે. ઉડ્ડયન મંત્રાલયે યુક્રેનથી ભારત આવતી ફ્લાઇટની સંખ્યા અને પ્લેનમાં મર્યાદિત સંખ્યામાં મુસાફરો પરનો પ્રતિબંધ હટાવી લીધો છે, જેથી કરીને વધુ ભારતીય નાગરિકો અને અહીં ભણતા વિદ્યાર્થીઓ ભારત પરત ફરી શકે છે.
ઉડ્ડયન મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, એરલાઇન્સને એરક્રાફ્ટની સંખ્યા વધારવા અને મુસાફરોની વધતી માગને પહોંચી વળવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે યુક્રેનમાં સ્થાયી થયેલા ભારતીય નાગરિકોને વહેલામાં વહેલી તકે નીકળી જવા કહ્યું છે, કારણ કે, 20 ફેબ્રુઆરી બાદ યુક્રેનથી ભારતની ફ્લાઈટ્સ ઉપલબ્ધ રહેશે નહીં.
નોંધનીય છે કે, ભારત અને યુક્રેન વચ્ચે બબલ એગ્રીમેન્ટ થયો છે, જે અંતર્ગત બંને દેશો વચ્ચેની એરલાઈન્સ દર અઠવાડિયે મર્યાદિત સંખ્યામાં જ વિમાન ઉડાવી શકશે. વિશ્વભરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું, તેના કારણે બંને દેશો વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેથી કોરોના સક્રમણને વધતુ અટકાવી શકાય. હવે જ્યારે સક્રમણ રેટ નીચે આવ્યો છે અને નવા કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે ભારતે આ નિર્ણય લીધો છે.
યુક્રેન અને રશિયા વચ્ચે કોઈપણ સમયે સૈન્ય ટકરાવની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના કારણે ભારતે યુક્રેન અને ભારત વચ્ચે એરક્રાફ્ટની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે. ઉડ્ડયન મંત્રાલયના નિર્દેશો બાદ એરલાઇન્સ યુક્રેનથી ભારત માટે ઇચ્છે તેટલી ફ્લાઇટ્સ શરૂ કરી શકે છે. એટલું જ નહીં યુક્રેન અને ભારત વચ્ચે ચાર્ટર્ડ એરક્રાફ્ટ પણ શરૂ થઈ શકે છે.