નવી દિલ્હી, 31 માર્ચ: પૂર્વ જેડીયૂ નેતા સાબિર અલીએ ભાજપના ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવી પર માનહાનિનો કેસ કર્યો છે. આ કેસ સોમવારે કરવામાં આવ્યો છે. ભાજપમાંથી 24 કલાકમાંથી હાંકી કાઢવામાં આવેલા સાબિર અલીની પત્ની યાસ્મીન ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીન ઘરની બહાર ધરણાં પર બેસી ગઇ છે. યાસ્મીનની માંગ છે કે મુખ્તાર અબ્બાસ નકવી બધાની સામે પોતાના નિવેદન પર માંફી માંગે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાબિર અલીએ નકવી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢતાં રવિવારે કહ્યું હતું કે જો આરોપ સાબિત થાય છે તો તે ફાંસી પર લટકવા માટે તૈયાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીમાં રવિવારે સાબિર અલીએ નકવીને પડકાર ફેંકતાં કહ્યું હતું કે તે સાબિત કરે કે મેં ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી યાસિન ભટકલને શરણ આપી હતી અથવા લેખિતમાં માંફી માંગે. રાજ્યસભા સાંસદ સાબિર અલીએ કહ્યું હતું કે મારા પર લગાવવામાં આરોપ નિરાધાર છે. અબ્બાસ નકવીના આરોપોથી હું આધાતમાં છું. મારો કોઇ આતંકવાદી સાથે સંબંધ નથી.
તેમણે કહ્યું હતું કે હું છ વર્ષથી રાજ્યસભામાં છું. જ્યારે હું જેડીયૂમાં હતો ત્યારે કોઇએ મારા વિશે કંઇ કહ્યું નહી. નકવી પણ રાજ્યસભામાં હતા. અમારી વચ્ચે મિત્રતાભર્યા સંબંધ હતા. તે સમયે તેમણે મારા વિરૂદ્ધ કંઇ કહ્યું નહી. થોડા દિવસો પહેલાં અમે બંને ફ્લાઇટમાં પણ સાથે-સાથે હતા.
સાબિર અલીની પત્નીએ નકવી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની ધમકી આપતાં કહ્યું હતું કે હું તેમને કાનૂની નોટીસ મોકલી રહી છું. નકવી 24 કલાકમાં લેખિત માફી માંગે અથવા ભટકલ સાથેના સંબંધોને સાબિત કરે. જો તેમણે આમ ન કર્યું તો હું તેમના ઘરની બહાર બેસી જઇશ.
સાબિર અલી પહેલાં જેડીયૂમાં હતા. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની પ્રશંસાને લીધે તેમને પાર્ટીમાંથી કાઢવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલાં સાબિર અલીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. મુખ્તાર અબ્બાસ નકવીએ તેનો વિરોધ કરતાં ટ્વિટ કરી કહ્યું હતું કે ભટકલનો મિત્ર આવી ગયો છે હવે દાઉદ પણ ભાજપમાં જોડાશે. આ ટ્વિટથી પાર્ટી મુશ્કેલીમાં મુકાઇ ગઇ. તેનો વિરોધ વધતા પાર્ટીએ શનિવારે સાબિર અલીની સદસ્યતા રદ કરી દિધી હતી. જેને લઇને સાબિર અલી નારાજ જોવા મળી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે તેમની સદસ્યતા રદ કરવાના બદલે હોલ્ડ પર રાખવામાં આવે અને કેસની તપાસ કરવામાં આવે.