અશોક ગહલોત પર સચીન પાયલોટના ગંભીર આરોપ, જાણો જન સંઘર્ષ યાત્રાનો પ્લાન
અશોક ગહલોત સામે સચીન પાયલોટ ફરી એકવાર લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. સચીન પાયલટે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, મને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી. મારા પર વેચાઇ જવાનો આરોપ લગાવાયો, મને બેકાર અને ગદ્દાર કહેવામાં આવ્યો. અશોક ગહલોતે પોતાના જ ધારાસભ્યો પર પણ આરોપો લગાવ્યા છે.
રાજસ્થાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સચિન પાયલોટે ફરી એકવાર અશોક ગહલોતના નેતૃત્વવાળી સરકાર પર પ્રહારો કર્યા છે. સચીન પાયલોટે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના નેતા સોનિયા ગાંધી નહીં, પરંતુ તેમના નેતા વસુંધરા રાજે સિંધિયા છે.

સચીન પાયલોટે જણાવ્યું હતું કે, મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મારા પર વેચાવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. મને નકામો અને દેશદ્રોહી કહેવામાં આવ્યો. ગેહલોતે પોતાના ધારાસભ્યોને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
સચીન પાયલોટે કહ્યું કે, એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભાજપ અમારી સરકારને તોડી પાડવાનું કામ કરી રહી છે અને બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે, વસુંધરા રાજેએ સરકાર બચાવવાનું કામ કર્યું છે. આ વિરોધાભાસ સમજાવવો જોઈએ. તમારે સ્પષ્ટ કરવું જોઈએ કે, ખરેખર તમે શું કહેવા માંગો છો. બધા જાણે છે કે, સરકાર બન્યા પછી હું ડેપ્યુટી સીએમ અને પ્રદેશ અધ્યક્ષ હતો. વર્ષ 2020માં મારી સામે દેશદ્રોહ અને રાજદ્રોહના આરોપમાં કાર્યવાહી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સચીન પાયલોટે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું અને મારા કેટલાક સાથીઓ સરકારમાં કેટલાક ફેરફાર ઇચ્છતા હતા. પાર્ટી પણ પરિવર્તન ઈચ્છતી હતી. અમે અમારી વાત રાખી અને અહેમદ પટેલ મારફત એક કમિટી બનાવવામાં આવી. સમિતિએ અમારી વાત સાંભળી અને રોડમેપ તૈયાર કરવામાં આવ્યો. આ પછી રાજ્યસભાની ચૂંટણીથી લઈને પાર્ટીને મજબૂત કરવા સુધીના તમામ કામ તેમણે કર્યા જે કરવા જરૂરી હતા.
સચીન પાયલોટે જણાવ્યું હતું કે, અઢી વર્ષમાં અનુશાસન તોડવાનું કામ કોઈએ કર્યું નથી. મને કોરોના કહેવામાં આવે છે, દેશદ્રોહી કહેવાય છે. આ આક્ષેપો હું અઢી વર્ષથી સાંભળી રહ્યો હતો, પરંતુ હું મારા પક્ષને નુકસાન પહોંચાડવા માંગતો ન હતો, તેથી હું શાંત રહ્યો. મેં પહેલીવાર જોયું છે કે, અમારી જ સરકારને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, અમારા જ ધારાસભ્યો અને ભાજપના નેતાઓના વખાણ થઈ રહ્યા છે. 40 વર્ષથી જનતાની વચ્ચે રહેલા આવા લોકો પર આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ તમામ આક્ષેપો પાયાવિહોણા અને ખોટા છે. સરકારમાં ઘણા નેતાઓને મંત્રી બનાવવામાં આવ્યા, મોટા હોદ્દા આપવામાં આવ્યા. એ કહેવું બિલકુલ ખોટું છે કે, તમને થોડા રૂપિયામાં વેચવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી અશોક ગેહલોતે તાજેતરમાં જ તેમના નિવેદનથી રાજકીય વિવાદના મધપુડાને છંછેડ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજેએ તેમની સરકાર બચાવવામાં મદદ કરી હતી. આ સાથે તેમણે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પર પૈસા લઈને સરકારને તોડવાની કોશિશ કરવાનો આરોપ પણ લગાવ્યો અને કહ્યું કે, મને આશ્ચર્ય છે કે, ભાજપે તે ધારાસભ્યો પાસેથી પૈસા પાછા કેમ ન લીધા.
સચીન પાયલોટે જણાવ્યું હતું કે, અમે દિલ્હી ગયા અને અમારી વાત રાખી. અમારા મુદ્દાઓને ધ્યાનમાં લીધા પછી, તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ 25 સપ્ટેમ્બરના રોજ અજય માકન અને મલ્લિકાર્જુન ખડગેને જયપુર મોકલ્યા હતા, પરંતુ ધારાસભ્યોની બેઠક થઈ શકી ન હતી. સોનિયા ગાંધી અમારા પ્રમુખ હતા, તેમનું અપમાન કરવું એ વિશ્વાસઘાત છે. તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યોને રાજીનામું આપવાની ફરજ પડી હતી અને તેમની પોતાની સરકાર જોખમમાં મુકાઈ હતી.
સચીન પાયલોટે જણાવ્યું હતું કે, ઘણા લોકો આરોપ લગાવે છે કે, રાજીનામા મોદી અને અમિત શાહના કહેવાથી થયા છે. આ વાત કહેવી શોભતી નથી. અત્યાર સુધી જે બન્યું છે, તે દર્શાવે છે કે કોણે અનુશાસનભંગ કર્યું અને કોણે પક્ષના નિયમો તોડ્યા. મેં નક્કી કર્યું છે કે હું 11 મેના રોજ અજમેરમાં RPSCથી જન સંઘર્ષ યાત્રા કાઢીશ. જનતાની વચ્ચે જઈને જનતાનો અવાજ સાંભળીશ, તેમના પ્રશ્નો ઉઠાવીશ અને જે પણ ભ્રષ્ટાચારના આરોપો છે, તેની તપાસની માંગ માટે અવાજ ઉઠાવીશ.












Click it and Unblock the Notifications
