આર્યન ખાન કેસમાંથી સમીર વાનખેડેને હટાવાયા, દિલ્હીની ટીમ તપાસ કરશે!
મુંબઈ NCBના ઝોનલ ડાયરેક્ટર અને આર્યન ખાન કેસના તપાસ અધિકારી સમીર વાનખેડેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ હટાવી દિધા છે. સમીર વાનખેડેને હવે NCB હેડક્વાર્ટર સાથે જોડી દેવામાં આવ્યા છે.
મુંબઈ, 05 નવેમ્બર : મુંબઈ NCBના ઝોનલ ડાયરેક્ટર અને આર્યન ખાન કેસના તપાસ અધિકારી સમીર વાનખેડેને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ હટાવી દિધા છે. સમીર વાનખેડેને હવે NCB હેડક્વાર્ટર સાથે જોડી દેવામાં આવ્યા છે. NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક દ્વારા સમીર વાનખેડે પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારથી NCB તેની સામેના આરોપોની તપાસ કરી રહી હતી.
NCB સાઉથ-વેસ્ટર્ન ઝોનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ મુથા અશોક જૈને જણાવ્યું કે, અમારા ઝોનના કુલ 6 કેસની તપાસ હવે દિલ્હીની ટીમો (NCB) દ્વારા કરવામાં આવશે, જેમાં આર્યન ખાનનો કેસ અને અન્ય 5 કેસનો સમાવેશ થાય છે. આ એક વહીવટી નિર્ણય છે. આ નિર્ણય બાદ દિલ્હી NCBની એક ટીમ આવતીકાલે મુંબઈ પહોંચી રહી છે. આ ટીમ આર્યન ખાન કેસ અને અન્ય 5 કેસ સહિત મુંબઈ ક્ષેત્રના 6 કેસની તપાસ કરશે.
આર્યન ખાન કેસમાંથી હટાવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા સમીર વાનખેડેએ કહ્યું કે, મને તપાસમાંથી હટાવવામાં આવ્યો નથી. કોર્ટમાં મારી રિટ પિટિશન હતી કે આ બાબતની તપાસ કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવે. તેથી દિલ્હી NCBની SIT આર્યન કેસ અને સમીર ખાન કેસની તપાસ કરી રહી છે. આ દિલ્હી અને મુંબઈની NCB ટીમો વચ્ચે સંકલન છે. દિલ્હી NCB ટીમ દ્વારા જે કેસોની તપાસ કરવામાં આવશે તેમાં આર્યન ખાન અને નવાબ મલિકના જમાઈ સમીર ખાનના ડ્રગ્સ કેસ ઉપરાંત અભિનેતા અરમાન કોહલી, દાઉદ ઈબ્રાહિમ કાસકરના નાના ભાઈ ઈકબાલ કાસકર અને કાશ્મીર ડ્રગ્સ કેસનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે, આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત અન્ય લોકોની એનસીબીએ 3 ઓક્ટોબરે મુંબઈના કિનારે ક્રૂઝ શિપ પર દરોડા પાડીને ધરપકડ કરી હતી. આર્યન 8 ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ હતો. આર્યનને બોમ્બે હાઈકોર્ટે 28 ઓક્ટોબરે જામીન આપ્યા હતા. આર્યન સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS એક્ટ) ની કલમો હેઠળ ડ્રગ્સ રાખવા, સેવન, પ્રતિબંધિત માદક પદાર્થોની ખરીદી અને વેચાણ અને ષડયંત્ર હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આ પહેલા નવાબ મલિકે સમીર વાનખેડે પર ઘર્મ અને લગ્ન ઉપરાંત લાંચ લેવાના ગંભીર આરોપો લગાવ્યા હતા.