TMCના સસ્પેંડેડ સાંસદ કૃણાલ ઘોષે આત્મહત્યાનો કર્યો પ્રયત્ન, હાલત નાજુક
કલકત્તા, 14 નવેમ્બર: તૃણમૂલ કોંગ્રેસના સસ્પેંડેડ સાંસદ અને શારદા ગોટાળાના કેસમાં આરોપી કૃણાલ ઘોષે આજે અલીપુર સેંટ્ર્લ જેલમાં ઉંઘની ગોળીઓ ખાઇને કથિત રીતે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો. પશ્વિમ બંગાળના સુધારગૃહ સેવા મંત્રી એચ એ સ્વાફીએ આ જાણકારી આપી. કૃણાલ ઘોષને સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.
મંત્રીએ જણાવ્યું હતું કે કૃણાલ ઘોષે આત્મહત્યા કરવા માટે ઉંઘની ગોળીઓ લીધી. પછી તેમણે ડૉક્ટરને બોલાવ્યા જેમાં જાણવા મળ્યું કે બધુ સામાન્ય છે. પરંતુ હજુ સુધી, સાવધાનીને ધ્યાનમાં રાખતાં અમે કોઇ ખતરો લીધો નથી અને તેમને એસએસકેએમ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. શારદા ગોટાળા કેસમાં આરોપી કૃણાલ ઘોષના સ્વાસ્થ્ય પર ડૉક્ટર નજર રાખી રહ્યાં છે.
કૃણાલ ઘોષને જ્યારે 10 નવેમ્બરના રોજ શહેરની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે તેમણે ધમકી આપી હતી કે જો ગોટાળામાં સામેલ લોકો વિરૂદ્ધ સીબીઆઇએ ત્રણ દિવસમાં કાર્યવાહી ન કરી તો તે આત્મહત્યા કરી લેશે. તૃણમૂલ કોંગ્રેસના સસ્પેંડેડ સાંસદે જણાવ્યું કે અહીં બેંકશાલ કોર્ટમાં મેટ્રોપોલિટિન મેજીસ્ટ્રેટ અરવિંદ મિશ્રાની સમક્ષ કહ્યું હતું 'તપાસ પ્રભાવિત કરવામાં આવી રહી છે. આ સ્વિકાર્ય નથી કે હું જેલમાં સડતો રહું જ્યારે તેમાં સામેલ લોકો ખુલ્લેઆમ ફરે. હું ત્રણ દિવસનો સમય આપી રહ્યો છું... જો કાર્યવાહી ન કરવામાં આવે તો હું આત્મહત્યા કરી લઇશ.'
કૃણાલ ઘોષે જજ સમક્ષ કહ્યું હતું કે 'હું તમને એક આદેશ જાહેર કરવાની પ્રાર્થના કરું છું કે આ ત્રણ દિવસો દરમિયાન મારા કોઇપણ સંબંધી અથવા મારા વકિલને મને મળવાની પરવાનગી ન આપવામાં આવે નહીતર હું પ્રભાવિત થઇ જઇશ અથવા અટકાઇ જઇશ.' આ પહેલાં સુનાવણી દરમિયાન તેમણે તૃણમૂલ કોંગ્રેસના કેટલાક ટોચના નેતાઓ પર ગોટાળાઓથી લાભાંવિત હોવાનો આરોપ લગાવ્યો હતો. કૃણાલ ઘોષ શારદા ગ્રુપની કંપની બંગાળ મીડિયા. લિ. પૂર્વ મુખ્ય કાર્યકારી છે.
જેલ વિભાગના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે 'તેમણે આત્મહત્યા કરવાની ધમકી આપી હતી એટલા માટે અમે ગત બે દિવસથી તેમના પર વધારે નજર રાખી રહ્યાં હતા. તેમના ઉંઘતાં પહેલાં તેમની તલાશી લેતાં હતા. પરંતુ ત્યારે કોઇપણ દર્દનાશક દવા અથવા ઉંઘની ગોળીઓ તેમની પાસે મળી ન હતી.' અધિકારીઓએ જણાવ્યું હતું કે 'મોડી રાત્રે 10.30 વાગ્યાની આસપાસ તેમણે શ્વાસ લેવામાં સમસ્યા થતી હોવાની ફરિયાદ કરી અને કહ્યું કે તેમણે ઉંઘની ગોળીઓનું સેવન કર્યું છે. ત્યારબાદ જેલના ડૉક્ટરને બોલાવવામાં આવ્યા તથા તેમની તપાસ કરવામાં આવી પરંતુ કંઇ અસામાન્ય જોવા મળ્યું નહી. તેમછતાં અમે કોઇ ખતરો ઉઠાવવા માંગતા નથી.