SBIના ચેરમેનને મળી જાનથી મારી નાખવાની ધમકી, પાકિસ્તાની કૉલરે મુંબઈ હેડક્વાર્ટર ઉડાવવાની પણ કહી વાત
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના હેડક્વાર્ટરને છેલ્લા બે દિવસમાં બે ધમકીભર્યા કૉલ મળ્યા હતા.
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના હેડક્વાર્ટરને છેલ્લા બે દિવસમાં બે ધમકીભર્યા કૉલ મળ્યા હતા. ફોન કરનારે દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનથી ફોન કરી રહ્યો છે. તેણે SBIના ચેરમેનનુ અપહરણ કરવાની અને તેમની હત્યા કરવાની ધમકી આપી. આ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઈન્ડિયા ટુડેમાં છપાયેલા અહેવાલ મુજબ પાકિસ્તાની ફોન કરનારે મુંબઈમાં એસબીઆઈના મુખ્યાલયને ઉડાવી દેવાની ધમકી આપી છે. SBI લાઇનને બે કૉલ મળ્યા, એક ગુરુવારે અને એક બુધવારે. ફોન કરનારે દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનનો છે અને જો તેની લોન મંજૂર કરવામાં નહીં આવે તો તે SBIના ચેરમેનનુ અપહરણ કરીને હત્યા કરશે. ફોન કરનારે દક્ષિણ મુંબઈમાં એસબીઆઈ હેડક્વાર્ટરની ઈમારતને ઉડાવી દેવાની પણ ધમકી આપી હતી. આ મામલામાં મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મળી છે અને એફઆઈઆર નોંધવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે 13 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે SBIની નરીમાન પોઈન્ટ ઑફિસની લેન્ડલાઈન પર કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ચેરમેનને ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ બેંકે પોલીસને ઘટના અંગે જાણ કરી હતી, ત્યારબાદ મુંબઈ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. સ્ટેટ બેંકની ફરિયાદના આધારે મરીન ડ્રાઈવ પોલીસે આઈપીસીની કલમ 506(2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફોન કરનારે પોતાનું નામ એમડી ઝિયા ઉલ અલીમ આપ્યુ હતુ અને દાવો કર્યો હતો કે તે પાકિસ્તાનથી વાત કરી રહ્યો હતો. તેણે કહ્યુ કે જો તે વહેલી તકે લોન નહીં આપે તો તે SBIના ચેરમેનનુ અપહરણ કરીને હત્યા કરી દેશે. આ સિવાય ફોન કરનારે એસબીઆઈ ઑફિસને ઉડાવી દેવાની ધમકી પણ આપી છે. તમને જણાવી દઈએ કે 6 ઓક્ટોબરે દિનેશ કુમાર ખારાની SBIના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમણે રજનીશ કુમારની જગ્યા લીધી છે. કેન્દ્ર સરકારે દિનેશ કુમાર ખારાને ત્રણ વર્ષના સમયગાળા માટે SBIના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે.