CBI મુદ્દે સુપ્રીમનો સ્ટે; 6000 કર્મચારીઓ પર લટકતી તલવાર
નવી દિલ્હી, 10 નવેમ્બર : દેશભરમાં ચર્ચા જગાવનારા સીબીઆઈને ગેરબંધાણીય જાહેર કરતા ગુવાહાટી હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે શનિવાર સ્ટે આપ્યો હતો. આ મામલે આગામી સુનાવણી 6 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.
કેન્દ્ર સરકારે એમ કહીને ગુવાહાટી હાઈ કોર્ટના ચુકાદાને પડકારતી અરજીની તાકીદને ધોરણે સુનાવણી હાથ ધરવામાં આવે એવી માગણી કરી હતી કે તેને કારણે હાલ ચાલી રહેલા હજારો ખટલા અને સીબીઆઈ દ્વારા હજારો કેસને મામલે હાથ ધરવામાં આવેલી તપાસ પર તેની વિપરીત અસર થશે.
અગાઉ કેન્દ્ર સરકારે ગુવાહાટી હાઈ કોર્ટના ચુકાદાનો સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને દેશભરમાં પેન્ડિંગ પડેલા હજારો ક્રિમિનલ કેસ પર આ ચુકાદાની વિપરિત અસર પડશે એમ કહીને આ ચુકાદા પર સ્ટે આપવાની માગણી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ પી. સતશિવમના નિવાસસ્થાને આ કેસની સુનાવણી કરવામાં આવી હતી.
એટર્ની જનરલ જી ઈ વહાણવટીએ જણાવ્યું હતું કે ગુવાહાટી હાઈ કોર્ટના ચુકાદા પર સ્ટે આપવામાં નહીં આવે તો તેને કારણે કાયદાની યંત્રણા ગંભીર રીતે પડી ભાંગશે અને સમગ્ર યંત્રણાને તે નિષ્ક્રિય બનાવશે.
એડવોકેટ દેવદત્ત કામતે દાખલ કરેલી અરજીમાં જણાવ્યાનુસાર ગુવાહાટી હાઈ કોર્ટના આ ચુકાદાને પગલે અનેક આરોપીઓએ તેમની સામે ચાલી રહેલા ખટલા પર સ્ટે માગવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે દલીલ કરતાં કહ્યું હતું કે સીબીઆઈની રચનાના ઠરાવને રાષ્ટ્રપતિની મંજૂરી હોવી જોઈએ એમ જણાવી ગુવાહાટી હાઈ કોર્ટે સીબીઆઈને ગેરબંધારણીય લેખાવવામાં ભૂલ કરી છે. સીબીઆઈને પોલીસ દળ ન ગણાવી શકાય, એમ તેમણે કહ્યું હતું.
ગુવાહાટી હાઈ કોર્ટની ખંડપીઠે 6 નવેમ્બરે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 અંતર્ગત 1 એપ્રિલ 1963ના રોજ સીબીઆઈની રચના કરવાના ઠરાવને રદ કરી સીબીઆઈને તેમ જ તેની તમામ કામગીરીને ગેરબંધારણીય જાહેર કરી હતી.
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે છેલ્લાં પચાસ વર્ષના સમયગાળા દરમિયાન કસોટીની એરણ પર ખરા ઉતરેલા સીબીઆઈની રચનાના ઠરાવને રદ કરવાના હાઈ કોર્ટના ચુકાદાની સીબીઆઈની કામગીરી પર ગંભીર અસર થશે. સીબીઆઈ ખૂબ જ અસરકારક રીતે કામગીરી બજાવી રહી છે અને 6000 જેટલા કર્મચારીનો સ્ટાફ ધરાવે છે. આ તમામ કર્મચારીઓ એક યા અન્ય રીતે વિવિધ કેસની તપાસ તેમ જ સુનાવણી સાથે સંકળાયેલા છે.
ગુવાહાટી હાઈ કોર્ટના ચુકાદાની સીબીઆઈની કામગીરી પર ગંભીર અસર પડી શકે એમ હોવાને કારણે ન્યાયતંત્રના હિતમાં આ ચુકાદા પર સ્ટે આપવાનો વચગાળાનો આદેશ આપે, એમ હાઈ કોર્ટના ચુકાદાને પડકારતી અરજીમાં જણાવવામાં આવ્યું હતું.