Seema haider news : સરકાર સીમા હૈદરને કેમ પાકિસ્તાન પરત નથી મોકલી રહી? આ રહ્યું કારણ
Seema haider news : પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે ભારત સરકારે કડક કાર્યવાહી કરી છે. ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોના વીઝા રદ કરીને તેમને પોતાના દેશ પરત જવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આના કારણે ઘણા પાકિસ્તાનીઓ પોતાના પરિવારથી અલગ થઈને વતન પરત ફરી રહ્યા છે. આ વચ્ચે સીમા હૈદરની ચર્ચા સોશિયલ મીડિયામાં ગુંજી રહી છે.

ઘણા લોકો એવી માંગ કરી રહ્યા છે કે સીમા હૈદરને પણ અન્ય પાકિસ્તાની નાગરિકોની જેમ પાકિસ્તાન મોકલવામાં આવે. પરંતુ, આ કડક નિર્ણયની વચ્ચે સીમાને રાહત મળી રહી હોય તેવું લાગે છે. આખરે સીમા હૈદર પર પાકિસ્તાન પરત જવાનો નિયમ લાગુ ન થવાનું કારણ શું છે?
સીમા હૈદરની કહાની ગ્રેટર નોઈડાના રબૂપુરા ગામના રહેવાસી સચિન મીણા સાથે જોડાયેલી છે. બંને વચ્ચે પબજી ગેમ રમતી વખતે પ્રેમની શરૂઆત થઈ. મે 2023માં સીમા નેપાળના માર્ગે ગેરકાયદે રીતે ભારતમાં દાખલ થઈ હતી.
તેણે ભારતના વીઝા લીધા વિના નેપાળ થઈને ભારતમાં પ્રવેશ કર્યો હતો. બે મહિના પછી જ્યારે તે કાગળિયા બનાવવા માટે વકીલ પાસે ગઈ ત્યારે આ મામલો પોલીસના ધ્યાને આવ્યો અને તે મીડિયામાં છવાઈ ગઈ. પોલીસે સીમા હૈદર, સચિન મીણા અને સચિનના પિતાની ધરપકડ કરી હતી.
ત્રણેયને શરતો સાથે જામીન મળી ગયા છે. સીમાએ ગેરકાયદે રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો, જેનો તેને હવે ફાયદો થઈ રહ્યો છે. ગેરકાયદેસર પ્રવેશ, ધરપકડ અને કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી, સીમાને હાલ પાકિસ્તાન પરત જવાની જરૂર નથી.
આને એવી રીતે સમજી શકાય કે જેમ ભારતની જેલોમાં પાકિસ્તાની કેદીઓ સજા પૂરી થાય ત્યાં સુધી રાખવામાં આવે છે તેવી જ રીતે કોર્ટનો અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી સીમા ભારતમાં રહી શકે છે. ઉપરાંત તેની નાગરિકતાની અરજી પણ રાષ્ટ્રપતિ સમક્ષ છે.
હાલમાં જ સીમા હૈદરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ભારતમાં રહેવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.
તેણે કહ્યું છે કે, હું પાકિસ્તાનની દીકરી હતી, પણ હવે ભારતની વહુ છું. મને અહીં રહેવા દેવામાં આવે તેવી મારી અપીલ છે.












Click it and Unblock the Notifications
