વાવાઝોડાના ભયથી સીમાંધ્ર વીજ કર્મીઓએ હડતાલ પાછી ખેંચી
હૈદરાબાદ, 10 ઓક્ટોબર : અલગ તેલંગાણાના વિરોધમાં આંધ્ર પ્રદેશના સીમાંધ્રમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનમાં જોડાયેલા સરકારી વીજ વિભાગના કર્મચારીઓએ તેમની હડતાળને પાછી ખેંચી લીધી છે. આંધ્ર પ્રદેશ પર તોળાઇ રહેલા વાવાઝોડાના જોખમને પગલે વીજ કર્મચારીઓએ તેમની હડતાળને પાછી ખેંચી લીધી છે.
તેમની હડતાળને લીધે સીમાંધ્ર (રાયલસીમા અને સમુદ્રતટીય આંધ્ર) વિસ્તારના 13 જિલ્લાઓમાં વીજ પુરવઠો સ્થગિત થઈ ગયો હતો. એને લીધે લોકોને, ખાસ કરીને હોસ્પિટલના દર્દીઓને ખૂબ જ હાડમારી થઈ છે. પણ આજે રાજ્યના મુખ્ય પ્રધાન કિરણકુમાર રેડ્ડી સાથેની ચર્ચા બાદ વીજ કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી લેતા સીમાંધ્રના લોકોને મોટી રાહત થઈ છે. વીજપુરવઠો તરત જ પૂર્વવત્ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે આ હડતાલ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન કિરણકુમાર રેડ્ડી સાથે ચર્ચા કર્યા બાદ વીજ કંપનીના કર્મચારીઓએ માનવતાના પગલે હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. તેલંગાણા વિરુદ્ધના આંદોલનમાં આશરે 30,000 જેટલા વીજ કર્મચારીઓ જોડાયા હતા. તેને લીધે સીમાંધ્ર ભાગમાં વીજ ઉત્પાદન અને સપ્લાય અટકી ગયા હતા.