Shaheed Diwas 2022 : ભગતસિંહના શહીદ દિવસ પર સમગ્ર રાજ્યમાં રજા, પંજાબ સરકારનો નિર્ણય
હવે સમગ્ર પંજાબમાં શહીદ ભગત સિંહના શહીદ દિવસ એટલે કે 23 માર્ચના રોજ રજા રહેશે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ શહીદ ભગતસિંહના શહીદ દિવસ પર માત્ર નવાશહેરમાં રજા હતી.
Shaheed Diwas 2022 : હવે સમગ્ર પંજાબમાં શહીદ ભગત સિંહના શહીદ દિવસ એટલે કે 23 માર્ચના રોજ રજા રહેશે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ શહીદ ભગતસિંહના શહીદ દિવસ પર માત્ર નવાશહેરમાં રજા હતી. હવે દર વર્ષે 23 માર્ચના રોજ સમગ્ર પંજાબમાં રજા રહેશે.

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને શહીદ ભગત સિંહના ગામ ખટકર કલાનમાં શપથવિધિ પણ કરી હતી. આ દરમિયાન તેમને રાજ્યપાલ બનવારી લાલે શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન સમગ્ર પંડાલને બસંતી રંગથી સજાવવામાં આવ્યો હતો.
પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં AAP એ 117 માંથી 92 બેઠકો જીતી છે. આ અગાઉ મુખ્યપ્રધાન ભગવંત માને શનિવારના રોજ તેમની કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા પ્રથમ નિર્ણયના ભાગરૂપે, પોલીસ વિભાગમાં 10,000 સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી હતી. માને તેમની કેબિનેટની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ એક વીડિયો સંદેશમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નોકરીઓ માટે જાહેરાત અને સૂચનાની પ્રક્રિયા એક મહિનામાં શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં અમે અમારા બાકીના ચૂંટણી વચનો પણ પૂરા કરીશું. માનએ જણાવ્યું હતું કે, પંજાબ પોલીસ વિભાગમાં 10,000 જગ્યાઓ ભરવામાં આવશે અને બાકીની જગ્યાઓ વિવિધ વિભાગો, બોર્ડ અને કોર્પોરેશનોમાં હશે. યોગ્યતાના આધારે નોકરીઓ આપવામાં આવશે.
ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ કેબિનેટમાં એક મહિલા સભ્ય સહિત AAPના 10 ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેબિનેટે વિધાનસભાના આગામી સત્રમાં વર્ષ 2021-22 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની રજૂઆતને પણ મંજૂરી આપી છે.
ઉલ્લેખીય છે કે, અમૃતસરમાં રોડ શો દરમિયાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ આજે પંજાબની જનતાને એક ઈમાનદાર મુખ્યમંત્રી મળ્યો છે. હવે ઈમાનદાર સરકાર બનશે. લવ યુ પંજાબ. આખી દુનિયા માની શકતી નથી કે, પંજાબમાં આટલી મોટી ક્રાંતિ આવી છે અને બધા હારી ગયા છે. આ બહુ મોટી ક્રાંતિ છે અને માત્ર પંજાબના લોકો જ આ કરી શક્યા હોત, આખી દુનિયામાં આટલી શક્તિ બીજા કોઈ પાસે નથી.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, જે લોકો પંજાબને લૂંટી રહ્યા હતા તેઓ હવે બંધ થઈ જશે. હવે સમગ્ર સરકારી પૈસા પંજાબના લોકો પર ખર્ચવામાં આવશે. અમે આપેલી તમામ બાંયધરી પૂરી કરવામાં આવશે. જો ભગવંત માન 16મીએ મુખ્યમંત્રી પદના શપથ લેશે તો તે દિવસે પંજાબનો દરેક બાળક મુખ્યમંત્રી બની જશે. અમે રંગલા પંજાબ બનાવીશું.
પંજાબના નિયુક્ત મુખ્યપ્રધાન ભગવંત માને જણાવ્યું હતું કે, અમે 122 લોકોની સુરક્ષામાં ઘટાડો કર્યો છે અને તેના કારણે 403 પોલીસકર્મીઓ અને 27 પોલીસ વાહનો પોલીસ સ્ટેશનોમાં પાછા ફર્યા છે. કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીની તસવીરો નહીં હોય, પરંતુ શહીદ ભગત સિંહ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો ચોક્કસ હશે.












Click it and Unblock the Notifications
