એનસીપી સુપ્રીમો શરદ પવારે મોદી સાથે કરી ગુપ્ત મુલાકાત!
મુંબઇ, 31 જાન્યુઆરી: મુંબઇના એક મરાઠી સમાચાર પત્રએ એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર શરદ પવાર વચ્ચે ગુપ્ત બેઠક થઇ હોવાનો દાવો કર્યો છે. આ સમાચાર પત્રએ દાવો કર્યો છે કે 17 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને શરદ પવાર વચ્ચે બેઠક થઇ છે. સમાચાર પત્રના જણાવ્યા અનુસાર મુલાકાત દરમિયાન શરદ પવારે નરેન્દ્ર મોદીને ચૂંટણી પછી સમર્થન આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. પરંતુ શરદ પવારે આ સમાચારનું ખંડન કર્યું છે. તેમને કહ્યું છે કે 'સમાચાર પાયાવિહોણા છે. હું ગત એક વર્ષથી નરેન્દ્ર મોદીને મળ્યો નથી.'
સમાચારમાં દાવો કરવામાં આવ્યો છે કે શરદ પવારે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે તે લોકસભાની ચૂંટણી તો કોંગ્રેસની સાથે જ લડશે, પરંતુ ચૂંટણી પછી તે ભાજપને સમર્થન આપી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે નરેન્દ્ર મોદીનો 2002ના ગુજરાત રમખાણ મુદ્દે બચાવ કર્યો હતો. તેમને કહ્યું હતું કે 2002ના રમખાણો પર કોર્ટે પોતાનો ચૂકાદો આપી દિધો છે. આ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટની નજર હેઠળ બનેલી એસઆઇટી પણ નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપી ચૂકી છે અને આ વિવાદને હવે ખતમ કરી દેવો જોઇએ. ત્યારબાદ એમ કહેવામાં આવવા લાગ્યું કે એનસીપીનું વલણ હવે ભાજપ તરફી થવા લાગ્યું છે અને કોંગ્રેસ સાથે તેનો મોહભંગ થઇ ચૂક્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં એનસીપીએ રાહુલ ગાંધીના ઇન્ટરવ્યું પર સવાલ ઉઠાવ્યો હતો. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે તેમની પાર્ટી 2002ના રમખાણો પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદનને સમર્થન કરતી નથી.