Sharad Pawar: અજિત પવારના નિધન બાદ શરદ પવાર હોસ્પિટલમાં દાખલ, જાણો કેવી છે તબિયત
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાંથી આજે એક અત્યંત દુખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને NCP ચીફ અજિત પવારનું બુધવારે સવારે એક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. આ સમાચાર બાદ સમગ્ર દેશ અને મહારાષ્ટ્રમાં શોકની લહેર ફરી વળી છે.

શરદ પવારને સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ કરાયા
અજિત પવારના નિધનના સમાચાર તેમના કાકા અને દિગ્ગજ નેતા શરદ પવારને આપતા પહેલા ઘણી સાવચેતી રાખવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, શરદ પવારની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને મુંબઈની એક હોસ્પિટલમાં સાવચેતીના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની હાજરીમાં તેમને આ દુખદ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી જેથી તેમને ઊંડો આઘાત ન લાગે. હાલમાં શરદ પવારની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
Ajit Pawar Plane Crash: કેવી રીતે સર્જાયો આ દર્દનાક અકસ્માત?
અજિત પવાર બુધવારે સવારે મુંબઈથી બારામતી જવા રવાના થયા હતા. તેઓ ત્યાં જિલ્લા પંચાયત અને પંચાયત સમિતિની ચૂંટણીઓ સંદર્ભે એક જાહેર સભાને સંબોધવા જઈ રહ્યા હતા. સવારે લગભગ 9 વાગ્યે જ્યારે તેમનું વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડ કરવાનું હતું, ત્યારે અચાનક ટેકનિકલ ખામીને કારણે તે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર અજિત પવાર સહિત તમામ છ લોકોના આ અકસ્માતમાં મોત થયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ સમયે વિમાનમાં આગ લાગી હતી અને તે સીધું જમીન પર ખાબક્યું હતું.
Ajit Pawar Family: પરિવાર પર આભ ફાટ્યું
જે સમયે આ અકસ્માત થયો તે સમયે અજિત પવારના પત્ની સુનેત્રા પવાર અને પુત્ર પાર્થ પવાર દિલ્હીમાં હતા. સમાચાર મળતા જ તેઓ તાત્કાલિક વિશેષ વિમાન દ્વારા પુણે જવા રવાના થયા હતા. હોસ્પિટલમાં દાખલ શરદ પવારે પણ પરિવારના સભ્યોને ધીરજ રાખવા અપીલ કરી છે, જોકે આ મોટી ખોટ પર તેમની પોતાની આંખો પણ ભીની છે.












Click it and Unblock the Notifications
