'ભાજપ તાલિબાની વિચારધારા ધરાવે છે'
વિપક્ષી નેતાઓએ સોનુ સૂદના ઘરે રેડ કરવા માટે કેન્દ્ર સરકાર અને ભાજપને જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે, ભાજપે જાણીને સોનુ સૂદ પર IT રેડ કરાવી છે.
નવી દિલ્હી : આજે (16 સપ્ટેમ્બર) રેડ કરવા માટે આવકવેરા વિભાગની ટીમ ફરી અભિનેતા સોનુ સૂદના ઘરે પહોંચી છે. બુધવારના રોજ મોડી રાત્રે સોનુ સૂદની ઓફિસમાં રેડ કરવામાં આવ્યા બાદ આવકવેરા અધિકારીઓ આજે સવારે મુંબઈમાં સોનુ સૂદના ઘરે પહોંચ્યા હતા. આવકવેરા વિભાગ લખનઉ સ્થિત રિયલ એસ્ટેટ કંપની સાથે સોનુ સૂદની પ્રોપર્ટી ડીલની તપાસ કરી રહ્યું છે. આવકવેરા વિભાગનો સર્વે બુધવારના રોજ સવારે 6 વાગ્યાથી સોનુના ઘરે શરૂ થયો હતો. જે લગભગ 20 કલાક સુધી ચાલી હતી. આ રેડ દરમિયાન સોનુ, તેમનો પરિવાર અને સ્ટાફ ઘરમાં હાજર હતા.
વિપક્ષી નેતાઓએ સોનુ સૂદના ઘરે રેડ કરવા માટે કેન્દ્ર સરકાર અને ભાજપને જવાબદાર ઠેરવ્યા છે. તેમનું કહેવું છે કે, ભાજપે જાણીને સોનુ સૂદ પર IT રેડ કરાવી છે. કારણ કે, સોનુ સૂદે કોરોના કાળમાં લાગૂ લોકડાઉન દરમિયાન લોકોને મદદ કરવા બદલ ચર્ચામાં રહ્યા હતા.
ભાજપના પૂર્વ સહયોગી અને મહારાષ્ટ્રની સત્તાધારી શિવસેનાએ આ સમગ્ર મામલે ભાજપની ટીકા કરી છે. શિવસેના પ્રવક્તા મનીષા કાયંદેએ જણાવ્યું કે, સોનુ સૂદને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શિવસેનાએ ભાજપ પર "તાલિબાની" વિચારધારા હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
ભાજપે સ્પષ્ટપણે આ દાવાને નકારી કાઢ્યો છે કે, સોનુ સૂદના ઘર પર રેડ રાજકીય પ્રેરિત છે. ભાજપનું કહેવું છે કે, આ રેડ રાજકીય પ્રેરિત નથી. ભાજપના મહારાષ્ટ્રના ધારાસભ્ય રામ કદમે જણાવ્યું કે, "જો કેન્દ્રીય એજન્સી કોઈ કાર્યવાહી કરે તો કોંગ્રેસ તેમજ સમગ્ર વિપક્ષ તેને રાજકીય કહે છે. શું આ એજન્સીઓએ કામ કરવાનું બંધ કરવું જોઈએ? આ કામગીરી પારદર્શક છે."
સોનુ સૂદની પ્રોપર્ટી ડીલની તપાસ કરવામાં આવી રહી છે
ગુરુવારના રોજ પણ અભિનેતા સોનુ સૂદના ઘરે આવકવેરા સર્વે ચાલી રહ્યો છે. આઈટી વિભાગ લખનઉ સ્થિત રિયલ એસ્ટેટ કંપની સાથે સોનુ સૂદની પ્રોપર્ટી ડીલની તપાસ કરી રહ્યું છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, સોનુ સૂદની કંપની અને લખનઉ સ્થિત રિયલ એસ્ટેટ કંપની વચ્ચે તાજેતરમાં થયેલા કરારની તપાસ ચાલી રહી છે. આ સોદામાં કરચોરીના આરોપો પર આવકવેરા વિભાગના અધિકારીઓ તેમની પાસે પહોંચ્યા, જેને આવકવેરા સર્વે અભિયાન તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે.
અભિનેતા પર કરચોરીનો આરોપ!
15 સપ્ટેમ્બર (બુધવાર) ના રોજ અભિનેતા સોનુ સૂદના ઘરે અચાનક આવકવેરા સર્વેના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જ્યાં એક તરફ સોનુ સૂદ કોરોના રોગચાળા દરમિયાન લોકોની મદદ કરીને ખૂબ જ લોકપ્રિય બન્યા હતા. બીજી બાજુ મુંબઈમાં તેના 6 સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓના સર્વેક્ષણથી તેના ચાહકોમાં ચકચાર મચી ગઈ હતી.
સત્યનો હંમેશા વિજય થાય છે : કેજરીવાલ
સોનુ સૂદના ચાહકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ સોનુ સૂદના સમર્થનમાં આવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યું કે, સત્યના માર્ગ પર લાખો મુશ્કેલીઓ આવે છે, પરંતુ સત્યની હંમેશા જીત થાય છે.
આવા સમયે AAP સાંસદ સંજય સિંહે પણ IT ના આ સર્વે પર ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, જે વ્યક્તિએ કોરોના મહામારી દરમિયાન લોકો માટે રાત-દિવસ કામ કર્યું છે, આજે તેમના જ ઘરમાં આવકવેરાની રેડ કરાવવામાં આવી રહી છે. તાજેતરમાં સોનુ સૂદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા, ત્યારબાદ તેમને દિલ્હી સરકાર દ્વારા 'દેશનો માર્ગદર્શક' કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા.
ગરબડ કરવાના આરોપો બાદ IT સર્વે
ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે તેમની સંપત્તિના અકાઉન્ટ બૂકમાં અનિયમિતતાના આરોપો બાદ એક સર્વે કર્યો હતો. અભિનેતાના ઘર સિવાય IT ટીમે તેમની કંપનીઓ સાથે સંબંધિત 6 જગ્યાઓનો સર્વે પણ કર્યો છે. નોંધનીય છે કે, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 133 Aની જોગવાઈઓ હેઠળ હાથ ધરવામાં આવનારી 'સર્વે ડ્રાઈવ' માં આવકવેરા અધિકારીઓ માત્ર વ્યાપાર પરિસર અને તેની સાથે જોડાયેલા પરિસરમાં જ નિરીક્ષણ કરે છે. જો કે, સત્તાવાળાઓ દસ્તાવેજો પણ જપ્ત કરી શકે છે.