2019ની લોકસભાની ચૂંટણીમાં શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે
ભાજપના જૂના સાથીએ 2019ની ચૂંટણી પહેલા તેનો સાથ છોડ્યો. 2019ની લોકસભાની ચૂંટણી શિવસેના એકલે હાથે લડશે. શિવસેનાની આ જાહેરાત પછી બંને પાર્ટીઓને શું લાભ કે નુક્શાન થશે તે અંગે જાણો અહીં.
ભાજપની જૂની સાથીદાર શિવસેના 2019માં થનારી લોકસભાની ચૂંટણીમાં એકલે હાથે લડશે. શિવસેનાએ મંગળવારે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનથી અલગ થઇને લડવાની જાહેરાત કરી છે. શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેની જયંતી પર 23 જાન્યુઆરીએ વરલીમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક થઇ હતી. જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે જણાવ્યું કે પાર્ટી પોતાના અભિમાન સાથે સમજૂતી નહી કરે અને એકલી જ ચૂંટણી લડશે. સાથે જ તેણે લોકસભા પછી વિધાનસભામાં પણ એકલા જ લડવાની વાત ઉચ્ચારી છે. શિવસેના પ્રમુખ પદ પર ઉદ્ધવ ઠાકરેને આ બેઠકમાં ફરી એક વાર પસંદ કરવામાં આવ્યા છે. ત્યાં જ ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેને રાષ્ટ્રીય કાર્યકારણીમાં જોડવામાં આવ્યો છે.

શિવસેનાના સાંસદ અનિલ દેસાઇએ જણાવ્યું કે કેન્દ્રીય ચૂંટણી આયોગના આદેશ મુજબ પાંચ વર્ષમાં એક વાર કાર્યકારિણી બેઠક થાય છે. નોંધનીય છે કે રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વની બેઠકમાં આદિત્ય ઠાકરે પોતાનું કદ વધાર્યું છે. આદિત્ય ઠાકરે, ઠાકરે પરિવારની ચોથી પીઢી તરીકે નવી જવાબદારીઓ સાથે એક યુવા ચહેરાની છાપ લઇને પાર્ટીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા સક્ષમ રહ્યા છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના સંબંધોમાં 2014ની ચૂંટણી પછી જ તણાવ જોવા મળ્યો હતો. અનેક વાર આ પહેલા પણ બંને પાર્ટીઓના નેતાઓ વચ્ચે વાદ વિવાદ અને આક્ષેપ પ્રતિઆક્ષેપ થઇ ચૂક્યા છે. ભલે હાલ બંનેની મહારાષ્ટ્રમાં ભાગીદારીવાળી સરકાર હોય પણ તેમ છતાં કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર વિરુદ્ધ શિવસેના હંમેશા બોલતી આવી છે. ત્યારે 2019ની ચૂંટણીમાં હવે ભાજપને શિવસેના વગર જ ચૂંટણી લડવાની રહેશે. તો બીજી તરફ શિવસેના પણ આ ચૂંટણી દ્વારા પોતાનું કદ માપશે.












Click it and Unblock the Notifications
