ગોપીનાથ મુંડેના નિધન પર શોભા ડેના ટ્વીટથી વિવાદ
નવી દિલ્હી, ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેના ગઇ કાલે એક માર્ગ અકસ્માતમાં થયેલા નિધન પર જાણીતા લેખિકા શોભા ડેએ ટ્વીટ કર્યું છે. જો કે દિલસોજી પાઠવતા આ ટ્વીટને કારણ તેઓ વિવાદમાં ફસાઇ ગયા છે. વિવાદનો મુદ્દો એ છે કે શોભા ડેએ મુંડેના નિધન પર અફસોસ વ્યક્ત કરતા કરેલા ટ્વીટના અંતમાં લખ્યું હતું કે તેમના પરિવાર માટે હવે ખરાબ દિવસો આવ્યા છે.
ગોપીનાથ મુંડેના નિધન બાદ નવલકથાકાર શોભા ડેએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે 'મુંડેની મોત અંગે ચોંકાવનારી ખબર, કેટલું દુ:ખદ, આરઆઇપી. પરિવાર માટે ખરાબ દિવસો આવી ગયા, ઉંડી સંવેદના.'
શોભા ડે એ પોતાના ટ્વીટમાં એવી પંક્તિઓનો ઉપયોગ કર્યો જેની આશા આવા મશહૂર લેખિકા પાસેથી ક્યારેય રાખી ના શકાય. તેમનું આ ટ્વીટ ચૂંટણી દરમિયાન ભાજપના સૂત્ર અચ્છે દિન આને વાલે હૈ સાથે પ્રાસ બેસાડી રહ્યું છે.
મંગળવારે સવારે માર્ગ અકસ્માતમાં દિલ્હી ખાતે ગોપીનાથ મુંડેના થયેલા નિધન બાદ શોભા ડે એ કરેલા ટ્વીટને અસંવેદનશીલ ગણાવી મીડિયામાં તેની આકરી ટીકા પણ કરવામાં આવી છે. અનેક લોકોએ તેમને આ અંગે ખરું ખોટું સંભળાવીને મોઢું બંધ રાખવા જણાવ્યું છે. જો કે ટ્વીટર પર લોકોની તીખી પ્રતિક્રિયા બાદ શોભા ડેએ માફી માંગી લીધી છે. તેમણે લખ્યું છે કે તેમના કારણે કોઇની લાગણીઓને ઠેસ પહોંચી છે તો તેઓ માફી માંગે છે.