'આફતાબ મારા ટૂકડા-ટૂકડા કરી દેશે', એવી શ્રદ્ધાની ફરિયાદ છતાં પોલીસે કેમ નહોતી કરી કાર્યવાહી? સામે આવ્યુ સત્ય
મહારાષ્ટ્ર પોલીસે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યુ કે આખરે એ વખતે કેસ કેમ બંધ કરી દેવામાં આવ્યો હતો.
Shraddha Murder Case: દેશના ચકચારી શ્રદ્ધા હત્યાકાંડ કેસમાં હાલમાં એ વાત સામે આવી હતી કે શ્રદ્ધા વૉકરે પોતાના લિવ-ઈન પાર્ટનર અને આરોપી આફતાબ અમીન પૂનાવાલા સામે 2020માં મહારાષ્ટ્ર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે સ્પષ્ટ કહ્યુ હતુ કે આફતાબ મારા ટૂકડા-ટૂકડા કરી દેશે. સવાલ એ છે કે આવી ફરિયાદ બાદ પણ 2020માં સમગ્ર મામલાની તપાસ કેમ કરવામાં ન આવી. હવે સમગ્ર મામલે મહારાષ્ટ્ર પોલીસે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યુ કે આખરે એ વખતે કેસ કેમ બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ કારણે બંધ થઈ ગયો હતો કેસ
મહારાષ્ટ્ર પોલીસે બુધવારે કહ્યુ કે તેઓએ શ્રદ્ધા વૉકરની ફરિયાદના આધારે 2020માં તપાસ શરૂ કરી હતી પરંતુ બાદમાં તેણે લેખિત નિવેદન આપ્યા બાદ કેસ પાછો ખેંચી લીધો હતો. જેના કારણે કેસ બંધ થઈ ગયો હતો. મીરા ભાઈંદર-વસઈ વિરાર (એમબીવીવી) સુહાસ બાવચે, ડીસીપીએ જણાવ્યુ હતુ કે, 'શ્રદ્ધાએ તેના લેખિત નિવેદનમાં જણાવ્યુ હતુ કે તેની અને આફતાબ પૂનાવાલા વચ્ચેનો વિવાદ ઉકેલાઈ ગયો હતો. તે બાબતે જે પણ જરૂરી પગલાં લેવાના હતા તે પોલીસે એ વખતે કરી હતી. ફરિયાદી શ્રદ્ધા દ્વારા કરવામાં આવેલ ફરિયાદની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ શ્રદ્ધાએ પોતે લેખિત નિવેદન આપ્યું હતું કે કોઈ વિવાદ નથી.'
આફતાબના માતાપિતાએ વિવાદ ઉકેલવા કહ્યુ હતુ
ડીસીપી સુહાસ બાવચેએ વધુમાં જણાવ્યુ હતુ કે, 'શ્રદ્ધાના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાના માતા-પિતાએ પણ તેને વિવાદનુ સમાધાન કરવા માટે ફોસલાવી હતી. તેણે લેખિતમાં નિવેદન આપ્યુ હતુ અને પછી તે કેસ બંધ થઈ ગયો હતો.' તમને જણાવી દઈએ કે 2020માં શ્રદ્ધાએ તુલિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી કે કેવી રીતે આફતાબ પૂનાવાલા તેની મારપીટ કરતો અને ત્રાસ ગુજારતો હતો.
'આફતાબ મને મારી નાખશે અને મારા ટૂકડા-ટૂકડા કરી દેશે'
શ્રદ્ધાએ તેના ફરિયાદ પત્રમાં લખ્યુ હતુ કે, 'આફતાબ મને મારી નાખશે અને મારા ટૂકડા-ટૂકડા કરી દેશે. એવી તે મને ધમકી આપે છે. બે વર્ષ પહેલા 2020માં તેના ફરિયાદ પત્રમાં શ્રદ્ધાએ પોલીસને જણાવ્યુ હતુ કે 'આફતાબે મને મારી નાખવાનો પ્રયાસ કર્યો અને મારા ટૂકડા-ટૂકડા કરી દેવાની ધમકી પણ આપી.'
મહારાષ્ટ્ર સરકારે આપ્યુ તપાસનુ આશ્વાસન
મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ છે કે ફરિયાદ પર શા માટે કાર્યવાહી કરવામાં આવી નથી તેની તપાસ શરૂ કરવામાં આવશે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, 'મેં પત્ર જોયો (2020માં પોલીસમાં શ્રદ્ધાની ફરિયાદ) અને તેમાં ખૂબ જ ગંભીર આરોપો છે. કાર્યવાહી કેમ ન કરાઈ તેની તપાસ કરવાની છે. હું કોઈના પર કોઈ આરોપ લગાવવા માંગતો નથી પરંતુ જો પગલાં લેવામાં ન આવે તો આવી ઘટનાઓ બને છે.