ફિલ્મ 'પદ્માવતી' કોઈ પણ વિવાદ વગર થશે રીલિઝ : સ્મૃતિ ઇરાની
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' તેની નિશ્ચિત તારીખે જ કોઈ પણ વિવાદ વગર રીલિઝ થશે. સુચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ સંજય લીલા ભણસાલીની ચિંતાઓ કરી દુર. આ અંગે વધુ વાંચો અહી ..
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવતી' 1 ડિસેમ્બરના રોજ રીલિઝ થનાર છે. પરંતુ આ ફિલ્મ તેની રીલિઝ પહેલા જ અનેક વિવાદોને કારણે ચર્ચામાં આવી ચુકી છે. આ ફિલ્મને રાજપૂત કરણી સેના દ્વારા અનેક વખત ધમકી પણ મળી ચુકી છે, ત્યારે તેની રીલિઝને અંગે ફિલ્મની ટીમ અને ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી ચિંતાતુર હતા. જો કે, સુચના અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ આ ફિલ્મની રીલિઝ સાથે જોડાયેલ તમામ ચિંતાઓ પર પૂર્ણવિરામ મુકી દીધું છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બોલીવૂડ હસતીઓ અને રાજનેતાઓ એક સાથે જોડાયા હતા. તેમાં કરણ જોહરે 'પદ્માવતી' ફિલ્મના વિવાદ અને રીલિઝને અંગે પુછેલ જવાબમાં સ્મૃતિએ જણાવ્યું હતું કે, સંજય લીલા ભણસાલી ખુબ જ ક્રિએટિવ વ્યક્તિ છે. મને તેમની સાથે કામ કરવાની ક્યારેય તક નથી મળી, પરંતુ તેમની ફિલ્મ 'પદ્માવતી'ને લઈને સરકાર અને કાયદાકીય સહયોગ તેમને મળી રહેશે. આ ઉપરાંત ફિલ્મના રીલિઝ સમયે રાજસ્થાન રાજ્ય સરકાર પણ કોઈ અસામાજીક તત્વો ઊભા ન થાય તેનુ ધ્યાન રાખશે. મીડિયા અંગે વાત કરતા સ્મૃતી ઇરાનીએ જણાવ્યુ કે, આપણા સુચનાના સ્તંભ સમાન મીડિયા સારૂ કામ કરી રહી છે અને લોકો પણ વ્યક્તિગત રીતે તથા એક નિર્દેશક તરીકે સંજય લીલા ભણસાલીના હકો સુરક્ષિત રહે એ માટે કાર્યરત છે. સુચના અને પ્રસારણ મંત્રી તરફથી મળેલા આ જવાબ બાદ સંજય લીલા ભણસાલી અને 'પદ્માવતી'ની ટીમને ચોક્કસ રાહત મળી હશે.