Sonali Phogat Case: વકીલે CJIને લખ્યો પત્ર, CBIને કેસ ટ્રાન્સફર કરવાની માંગ
વકીલ વિનીત જિંદાલે સીજેઆઈને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.
નવી દિલ્લીઃ હરિયાણાના ભાજપ નેતા અને ટિક ટૉક સ્ટાર સોનાલી ફોગાટના મૃત્યુ બાદથી જ આ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(CBI) તપાસની માંગ કરવામાં આવી હતી. સોનાલી ફોગાટના ભાઈ રિંકુએ પણ રાજકીય ષડયંત્ર તરફ ઈશારો કર્યો છે. તો ત્યાં જ હવે વકીલ વિનીત જિંદાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ યુયુ લલિતને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવાની માંગ કરી છે.
સોનાલી ફોગાટના પરિવાર તરફથી હાજર રહેલા એડવોકેટ વિનીત જિંદાલે ગુરુવારે જણાવ્યુ હતુ કે, 'ગોવામાં 23 ઓગસ્ટે સોનાલી ફોગાટનુ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયુ હતુ. સોનાલીના મૃત્યુ બાદ ગોવા પોલીસે તેના અંગત સહયોગીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.' સમાચાર એજન્સી ANIના સમાચાર મુજબ વકીલે કહ્યુ કે આ પત્ર અરજી દ્વારા અમે કોર્ટને વિનંતી કરીએ છીએ કે ગોવા સરકારને આ કેસની તપાસ પોલીસ પાસેથી સીબીઆઈને ટ્રાન્સફર કરવાનો નિર્દેશ આપે. જેથી જાણી શકાય કે સોનાલીની હત્યા પાછળ કોઈ મોટુ ષડયંત્ર છે કે નહિ.
વકીલે પત્રમાં કહ્યુ છે કે, 'આ હત્યાની તપાસ માત્ર ગોવા પોલીસ સુધી સીમિત નથી કારણ કે આ એક મોટુ ષડયંત્ર હોઈ શકે છે અને અન્ય રાજ્યોમાં તેની તપાસ કરવાની જરૂર છે. આ બાબતની તપાસ કોઈ એવી એજન્સી દ્વારા કરવાની જરૂર છે જે કોઈપણ અવરોધો કે કાયદાકીય ગૂંચવણો વિના આ મામલાની તપાસ કરી શકે. સીબીઆઈ આ માટે સૌથી યોગ્ય એજન્સી છે. જેને ભારતના કોઈપણ રાજ્યમાં કોઈપણ અવરોધ વિના કેસની તપાસ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.'
પત્રમાં કહેવામાં આવ્યુ છે કે સોનાલી ફોગાટના મૃત્યુને પહેલા હાર્ટ એટેક તરીકે વર્ણવવામાં આવ્યુ હતુ પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યુ હતુ કે શરીર પર ઘણી ઇજાઓ હતી. પત્રમાં કહેવામાં આવ્યુ છે કે 'પોલીસ અધિકારીઓએ પણ પુષ્ટિ કરી છે કે હત્યા પહેલા કોઈએ તેને ડ્રગ્સ આપ્યુ હતુ પરંતુ મહત્વપૂર્ણ મુદ્દાઓ હજુ સ્પષ્ટ નથી. ગોવા પોલીસ હજુ સુધી સોનાલી ફોગાટની હત્યા પાછળનો હેતુ અન્ય કોણ તેની હત્યામાં સામેલ છે તે શોધી શકી નથી.'