સોનિયા ગાંધીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
શુક્રવારે સાંજે સોનિયા ગાંધીને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાયબરેલીથી સાંસદ સોનિયા ગાંધીની શુક્રવારે તબિયત બગડી હતી. આથી તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીને પેટની તકલીફની ફરિયાદ થતાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તબીબો અનુસાર, હાલ તેમને તપાસ માટે દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને શુક્રવારે સાંજે 5 વાગ્યાની આસપાસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. તબીબોનું કહેવું છે કે, તપાસ બાદ શનિવારે સવાર સુધીમાં સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સોનિયા ગાંધીની તબિયત સારી ન રહેતી હોવાના સમચાર મળી રહ્યાં છે. આ પહેલા પણ તેમને પેટની તકલીફની ફરિયાદ થઇ હતી. થોડા મહિના પહેલાં જ તેમને આ કારણે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સમયે પણ તેઓ પોતાની નબળી તબિયતને કારણે સક્રિય નહોતા રહી શક્યા. 2016માં ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના રોડ શો દરમિયાન જ સોનિયા ગાંધીની તબિયત બગડી હતી અને આ કારણે રોડ શો વચ્ચેથી જ રોકવો પડ્યો હતો.