રાજકારણમાં મારા બે ગુરુ; સોનિયાજી અને મનમોહનજી : રાહુલ
સંગરૂર, 10 ઓક્ટોબર : આજે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રાજકારણમાં મારા બે ગુરૂ છેઃ એક છે સોનિયા ગાંધી અને બીજા છે મનમોહનસિંહ. આ સાથે તેમણે કલંકિત નેતાઓ અંગેના વટહુકમ મુદ્દે વડાપ્રધાન સાથે થયેલા ખટરાગને દૂર કરવાની દિશામાં પોતાના પ્રયાસોને વેગ આપ્યો હતો.
આજે પંજાબની મુલાકાત દરમિયાન સંગરૂરમાં એક કેન્સર હોસ્પિટલનો શિલાન્યાસ કરતા સમયે તેમણે કલંકિત નેતાઓ અંગેના વટહુકમ અંગે તેજણાવ્યું કે ભ્રષ્ટાચાર સામે સાચુ બોલવું જરૂરી હતું તેથી મેં વટહુકમનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું છે કે સાચું બોલવા માટે કોઇ સમય નથી હોતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભ્રષ્ટાચાર સામે લડવું હશે તો સત્ય બોલવું જરૂરી છે. સત્ય બોલ્યા વિના ભ્રષ્ટાચારની લડાઇ લડી શકાય તેમ નથી. પંજાબ અંગે સત્ય વાત કરું તો પંજાબની બે સમસ્યાઓ છે. એક નશો અને બીજી બેરોજગારી. પંજાબમાં એક પણ માતા એવી નથી જે પોતાના સંતાનના ભવિષ્ય અંગે ચિંતા ના કરતી હોય. આ પ્રદેશ સમગ્ર હિન્દુસ્તાનને અનાજ પુરું પાડે છે.