સોનિયા ગાંધીએ જાહેર કરી નિવૃત્તિ, રાહુલ સંભાળશે કમાન
સોનિયા ગાંધીએ નિવૃત્તિ જાહેર કરી
ઘણા લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષા તરીકે કાર્યરત એવા સોનિયા ગાંધીએ શુક્રવારે આખરે નિવૃત્તિ જાહેર કરી હતી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આખરે કોંગ્રેસ અધ્યક્ષ તરીકેની જવાબદારી ઉપાડવા માટે ચૂંટાઇ ચૂક્યા છે, આથી હવે સોનિયા ગાંધીએ નિવૃત્તિ જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ઘણા લાંબા સમયથી સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાના સમાચાર સાંભળવા મળી રહ્યાં હતા. ઉત્તરપ્રદેશની ચૂંટણી સમયથી જ અવાર-નવાર સોનિયા ગાંધીની તબિયતના સમાચારા આવી રહ્યાં હતા. આથી ઘણાએ અંદાજ લગાવી લીધો હતો કે, રાહુલ ગાંધી અધ્યક્ષ બનતા સોનિયા ગાંધી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
સોનિયા ગાંધી સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે. રાહુલ ગાંધીને 16 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ પાર્ટીની કમાન સોંપવામાં આવશે, એ પહેલાં જ શુક્રવારે સોનિયા ગાંધીએ રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે, આ સાથે જ તેમણે સક્રિય રાજકારણમાંથી પણ સંન્યાસ લેવાના સંકેત આપી દીધા છે. શિયાળુ સંસદ સત્ર પહેલાં મીડિયા સાથે વાત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે, હવે હું નિવૃત્ત થઇ રહી છું, શનિવારથી રાહુલ ગાંધી કોંગ્રેસની કમાન સંભાળશે. સોનિયા ગાંધી કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી પાર્ટીના પણ નેતા છે, જેમાં સંસદના બંને સદનના સભ્યો હોય છે. કહેવાઇ રહ્યું છે કે, સોનિયા ગાંધી સીપીપીની કમાન પણ રાહુલના હાથમાં સોંપશે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી જ્યારે પાર્ટીના અધ્યક્ષા બન્યા ત્યારે આ પદનું ગઠન કરવામાં આવ્યું હતું. સંસદના બંને સદનોમાં પાર્ટીનું નેતૃત્વ કરતા નેતા સીપીપીના ચેરપર્સનને રિપોર્ટ કરે છે.
2019ની ચૂંટણી
સોનિયા ગાંધીના નિવૃત્તિના નિવેદન બાદ હવે એક સવાલ એ પણ ઊભો થાય છે કે, વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં શું તેઓ ભાગ લેશે. વર્તમાન સમયમાં તેઓ રાયબરેલીની બેઠક પરથી સાંસદ છે, આ બેઠક પરથી પહેલાં ઇન્દિરા ગાંધી સાંસદ હતા. યુપીના અમેઠી અને રાયબરેલીની લોકસભા બેઠક પર શરૂઆતથી જ નેહરુ-ગાંધી પરિવારનો કબજો રહ્યો છે, એવામાં જો સોનિયા ગાંધી રાજકારણમાંથી સંન્યાસ લે તો આ બેઠક પર પ્રિયંકા ગાંધીનો રસ્તો સાફ થઇ શકે છે.