સોનિયા ગાંધીને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણો કેમ?
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંગળવાર ૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સવારે તેમની તબિયત અચાનક બગડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં નિષ્ણાત ડોકટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.

હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને લાંબા સમયની ખાંસી (ક્રોનિક કફ) અને પ્રદુષણને કારણે થતી શ્વાસ સંબંધી તકલીફોના લીધે દાખલ કરાયા છે. હાલમાં તેઓ ચેસ્ટ ફિઝિશિયન (છાતીના રોગના નિષ્ણાત)ની દેખરેખ હેઠળ છે અને તેમની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે. તેમના સ્વાસ્થ્ય અંગે કોંગ્રેસ પક્ષે કોઈ ઔપચારિક બુલેટિન બહાર પાડ્યું નથી, જેનાથી કાર્યકરોમાં ચિંતાનો માહોલ છે.
સોનિયા ગાંધી છેલ્લા કેટલાક વર્ષોથી સ્વાસ્થ્ય સંબંધી પડકારોનો સામનો કરી રહ્યા છે. પ્રદુષણ અને હવામાનમાં થતા ફેરફારોના કારણે તેમને અવારનવાર શ્વસન સંબંધી સમસ્યાઓ સતાવતી રહે છે. હોસ્પિટલના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ એક રૂટીન દાખલ થવું હોઈ શકે છે, કારણ કે તેઓ સમયાંતરે નિયમિત તપાસ માટે આવતા હોય છે.
આ પહેલા જૂન ૨૦૨૫ માં પણ તેમને પેટ સંબંધિત સમસ્યાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ગેસ્ટ્રો વિભાગે તેમની તપાસ કરી હતી.
ગયા વર્ષે જૂનમાં પણ સોનિયા ગાંધીના સ્વાસ્થ્યને લઈને ચર્ચાઓ તેજ બની હતી, જ્યારે તેઓ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં હતા. ત્યાં અચાનક તબિયત બગડતા તેમને ઈન્દિરા ગાંધી મેડિકલ કોલેજ (IGMC) લઈ જવામાં આવ્યા હતા. નિષ્ણાત ડોકટરોની તપાસમાં સ્થિતિ સામાન્ય જણાયા બાદ તેમને રજા અપાઈ હતી. દિલ્હીની વર્તમાન હવાની ગુણવત્તા અને ઠંડીને જોતા ડોકટરો હવે વધુ સાવચેતી વર્તી રહ્યા છે.












Click it and Unblock the Notifications
