અશોક ગહેલોત હશે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ? સોનિયા ગાંધી સાથે મુલાકાતનો શું છે રાજકીય અર્થ?
સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન ગેહલોતને કોંગ્રેસનુ નેતૃત્વ કરવા વિનંતી કરી છે.
નવી દિલ્લીઃ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ મોટા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન ગેહલોતને કોંગ્રેસનુ નેતૃત્વ કરવા વિનંતી કરી છે. કોંગ્રેસ 21 સપ્ટેમ્બર સુધીમાં પાર્ટીના નવા અધ્યક્ષની પસંદગી માટે તેના અંતિમ કાર્યક્રમની જાહેરાત કરશે. સોનિયા ગાંધીના નજીકના મિત્રોએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ સ્વાસ્થ્ય અને ઉંમરની ચિંતાઓને કારણે ફરીથી સત્તા સંભાળવા તૈયાર નથી. આવી સ્થિતિમાં પાર્ટી હવે બિન-ગાંધી અધ્યક્ષના નામ પર વિચાર કરી રહી છે.
બીજી તરફ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ગેહલોત આ વિચારને લઈને થોડા અસહજ છે. તેમણે તેમના અગાઉના વલણને પુનરાવર્તિત કર્યુ કે, 'રાહુલ ગાંધી 'સર્વસંમત' પસંદગી છે. હું વારંવાર કહેતો આવ્યો છું કે જ્યારે રાહુલ ગાંધી પાર્ટીની બાગડોર સંભાળશે ત્યારે જ કોંગ્રેસ પુનઃજીવિત થશે. તેમના વિના લોકો નિરાશ થશે અને લોકો ઘરે બેઠા રહેશે તો પાર્ટી નબળી પડશે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ દરેક વ્યક્તિની ભાવનાઓને માન આપીને જવાબદારી સંભાળવી પડશે.'
તેમણે વધુમાં કહ્યુ હતુ કે અમે તેમના પર પક્ષના વડાનુ પદ સંભાળવા માટે દબાણ કરવાનુ અને સમજાવવાનુ ચાલુ રાખીશુ. જ્યારે અશોક ગેહલોતના અધ્યક્ષ બનવાના મીડિયા રિપોર્ટ્સ આવ્યા ત્યારે તેમણે કહ્યુ કે હું મીડિયા પાસેથી આ સાંભળી રહ્યો છુ, મને તેના વિશે કંઈ ખબર નથી. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે હું નિભાવી રહ્યો છુ.
ગેહલોતને મળ્યાના કલાકો બાદ કોંગ્રેસે માહિતી આપી હતી કે સોનિયા ગાંધી, રાહુલ અને પ્રિયંકા સાથે તેમના મેડિકલ ચેકઅપ માટે અને તેમની બીમાર માતાને મળવા માટે વિદેશ જઈ રહ્યા છે. વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય દિગ્વિજય સિંહે સ્વીકાર્યુ કે જો રાહુલ ગાંધી પાર્ટીના વડા બનવા માંગતા ન હોય તો તેમને દબાણ કરી શકાય નહિ.
ભારત જોડો યાત્રા કરશે શરુ
કોંગ્રેસે જાહેરાત કરી છે કે 7 સપ્ટેમ્બરથી કોંગ્રેસ 'ભારત જોડો યાત્રા' શરૂ કરશે. આ મામલે જયરામ રમેશે જણાવ્યુ હતુ કે 80 વર્ષ પહેલા આ દિવસે, મહાત્મા ગાંધીના નેતૃત્વ અને પ્રેરણા હેઠળ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી, જેણે 5 વર્ષ પછી દેશને આઝાદી અપાવી હતી. આ પદયાત્રા 12 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 3,500 કિલોમીટરનુ અંતર કાપશે અને લગભગ 150 દિવસમાં પૂર્ણ થશે. આ યાત્રામાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભાગ લેશે.